પ્રાર્થના કરવાથી ફાયદો થાય ખરો…?

(94) પ્રાર્થના કરવાથી ફાયદો થાય ખરો…?

            દોસ્તો, આપણે અગાઉ જોઈ ગયા કે ઈશ્વર ખુશ થઈને આશીર્વાદ આપે છે, અને કોપાયમાન થઈને શ્રાપ પણ આપે છે. પણ સજા કરવાનો કે સ્નેહ વરસાવવાનો તેનો અંદાજ જુદો છે. જેમકે કોકનું ગળુ કાપો તો કુદરત કોપાયમાન થતી નથી, પણ જંગલ કાપો તો કુદરતનો શ્રાપ અનાવૃષ્ટિરૂપે ભોગવવો પડે છે. નદી, પહાડો, સાગરો કે ધરતીના પેટાળમાંની સંપત્તિને માણસ સુપેરે જાળવશે તો ધરતી પર હરિયાળી જીવસૃષ્ટિનું સંવર્ધન થઈ શકશે. પણ માણસ ધાડપાડુની જેમ ધરતી પર બધું ખેદાન મેદાન કરી નાખશે તો કુદરત માફ નહીં કરે. માણસ પાણી વેડફશે તો કુદરત એને તરસે મારશે. જમીનમાં બીજને બદલે કાંકરા રોપશે તો કુદરત એને ભૂખે મરશે. ઝાડ રોપશે તો તે પ્રાણવાયુ આપશે, પણ અણુબોમ્બના વિસ્ફોટો કરશે તો પૃથ્વી નાશ પામશે. ઈશ્વરની નસેનસથી વાકેફ થયા પછી જ તેની કૃપા-અવકૃપાનું ગણિત સમજી શકાય છે. એથી જ અમારા બચુભાઈ કહે છે, “ઈશ્વરને પૂજવા કરતાં સમજવાની જરુર વધુ છે.” દોસ્તો, તાત્પર્ય એટલું જ કે પરમેશ્વરની પૂજા કરવા કરતાં પ્રાકૃતિક પર્યાવરણનો અભ્યાસ કરવો એ વિજ્ઞાનયુગના માનવીની સાચી પ્રભુપૂજા છે. ઈશ્વર બોલતો નથી પણ તેણે માનવજાતને ઘણો પ્રેમ આપ્યો છે. બાપ ગૂંગો હોય તો પણ તે પોતાના સંતાનોને ઈશારા દ્વારા અઢળક પ્રેમ આપે છે. સંતાનો પણ ગૂંગા બાપના બધા ઈશારાઓ સમજી શકે છે. ઈશ્વરે પણ કુદરતના મૌન કરિશ્માઓ દ્વારા માણસને અઢળક સુખ આપ્યું છે. ઈશ્વરની કૃપા આકાશમાંથી જળ સ્વરૂપે વરસે છે. એ જળથી કાદવ થાય છે અને અનાજ પણ પાકે છે. (માણસે નક્કી કરવાનું છે કે કાદવ કીચડ આરોગીને કમોતે મરવું છે કે અનાજ ઉગાડીને બુદ્ધિગમ્ય રીતે જીવવું છે) જીવતા રહેવા માટે રોટી, કપડા અને મકાન સિવાય પણ ઘણી વસ્તુઓની જરૂર પડે છે. માણસને રોટી મળે તો એ જીવી ખાય.. પણ પ્રેમ મળે તો એ જીવી જાય.. કપડાથી શરીર ઢંકાય.. મકાનથી માથુ ઢંકાય.. પણ જીવનમાં કોકનો સાથ મળે તો સંસારનો દરિયો તરી જવાય.. જીવવા માટે ઈશ્વરે કેવળ પ્રાણવાયુ પેદા નથી કર્યો, પ્રેમનો પણ પૂરો પ્રબંધ કર્યો છે.
             દોસ્તો, ઘણાં એવું કહે છે કે પ્રાર્થના નકામી વસ્તુ છે. તેનાથી કોઈ ફાયદો થતો નથી. પ્રાર્થના એટલે શું તે વિશે ‘જૈન સમાચાર’ના તંત્રી શ્રી રોહિત શાહ તેમના પુસ્તક ‘અનુમોદના’માં કહે છે- ‘પ્રાર્થના કોને કહેવાય? પ્રાર્થના એટલે યાચના, ભિખારીવેડા એવો સાર્વત્રિક અર્થ અત્યારે જોવા મળે છે. ખરેખર તો પ્રાર્થના એટલે આભારદર્શન. આપણને આપણી લાયકાત કરતાં ઘણું વિશેષ મળ્યું છે તે બદલ કર્મસત્તાનો આભાર માનવો એજ પ્રાર્થના!’ સત્ય એ છે કે જેણે જીવન આપ્યું તેની પાસેથી શ્વાસ માંગવા એ યાચકવેડા નથી. જેણે ગર્ભાશય આપ્યું અને બાળક ન આપ્યું તેની પાસે બાળકની યાચના કરવી એ ગુનો નથી. જેણે પરબની વ્યવસ્થા કરી તેની પાસેથી પાણીની અપેક્ષા રાખવી એ ખોટું નથી.  (કોઈ બાળક માતા પાસે દૂધ માંગે તેને ભિખારીવેડા શી રીતે કહી શકાય?) પ્રાર્થના એ પણ આપણા માલિક સમક્ષ આપણા દ્વારા થતી અધિકૃત માગણી છે. શ્રી સુરેશ દલાલે પ્રાર્થના વિશે કહેલું: ‘હે પ્રભુ, તારી પાસે નહીં માગું તો કોની પાસે માગું? મારું મન જ મારો ધ્યાનખંડ છે. બીજ વાવવાની જવાબદારી મારી, પણ ઝાડ ઉગાડવાની જવાબદારી તારી. પ્રાર્થના વિનાનું જીવન ફૂલપાન વિનાના નગ્ન વૃક્ષ જેવું છે!’ ખેર.. પ્રાર્થના અને પ્રકોપ વિષે વધુ આવતી કાલે જોઈશું.

   (ક્રમશ:) –દિનેશ પાંચાલ

(90) જન્મ મરણના ચોર્યાસી લાખ ફેરા હોય છે ખરા?

(90) જન્મ મરણના ચોર્યાસી લાખ ફેરા હોય છે ખરા?

                દોસ્તો, કહેવાય છે કે માણસે મનુષ્યજીવનમાં ચોર્યાસી લાખ અવતારના ફેરામાંથી પસાર થવું પડે છે. (કોણ ગણવા ગયું..??) માણસે કરેલા સારા નરસા કર્મો પ્રમાણે તેને કઈ યોનિમાં જન્મ આપવો તે ભગવાન નક્કી કરે છે. આટલા મોટા આંકડામાં પશુપક્ષીઓનો પણ સમાવેશ થતો જ હશે. જો એમ હોય તો અનેક પ્રશ્નો ઉદ્‌ભવી શકે. જેમ કે કીડી એની સમગ્ર જિંદગી દરમિયાન કયું પાપ (અથવા પુણ્ય) કરતી હશે જેને આધારે એનો ભાવિ જન્મ નક્કી થતો હશે? વાઘ, સિંહ જેવા હિંસક પશુઓ અન્ય પ્રાણીઓને મારીને પેટ ભરે છે એથી એઓ આજીવન અપરાધી ગણાય.. તો એમને કયો નવો જન્મ મળતો હશે? ચાલો, એમ કલ્પી લઈએ કે ઉાઉદ ઈબ્રાહિમ, ઓસામા- બિન- લાદેન કે હાફિઝ સૈયદ જેવા આતંકવાદીઓને તેમના ગુના બદલ સંડાસના ખાળકૂવાના જીવડાનો અવતાર મળતો હશે પણ પછી એ જીવડા ખાળકૂવામાં રહ્યે રહ્યે કયું પુણ્ય, કરે તો એને નવો અવતાર ગાંધી, બુધ્ધ કે મહાવીરનો મળી શકે? (વળી ખાળકૂવામાં રહીને કોઈ પુણ્ય કરી પણ શકાય ખરું કે..??) દોસ્તો, આ બધું સાવ બોગસ છે. રેશનાલિઝમના ટેસ્ટર વડે ચકાસતા તરત પકડાઈ જાય છે કે એ બધાં ધાર્મિક ગપગોળા છે.  પુનઃજન્મ કે પૂર્વજન્મની માન્યતા મૂળથી જ અતાર્કિક છે? આપણી વાત છોડો,  આજે કોઈ સાધુ સંત કે ધર્મગુરુને પણ એનો એકાદ જન્મ યાદ છે ખરો?
             દોસ્તો, વર્ષો પૂર્વે અમારે ત્યાં ભેંસનું દુઝાણુ હતું. ભેંસને “પાનો” મૂકાવવાની પ્રક્રિયા નજરે જોઈ છે. (પાનો એટલે શું એમ કોઈ કોન્વેન્ટિયા છોકરાને પૂછો તો જવાબ નહીં આપી શકે) ભેંસના મો આગળ ગોતર (દાણનો ટોપલો) મૂકવામાં આવે છે. પછી તેના આંચળને થોડી વાર વલૂરવાથી ભેંસ પાનો મૂકે છે. (પાનો એટલે દૂધ આપવાની ભેંસની માનસિક અને શારીરિક તૈયારી) પાનો મૂક્યા વિના આંચળમાં દૂધ આવતું નથી. કલ્પના કરો ભેંસ પાનો મૂકે પછી (નળની ચકલી ઘુમાવવાથી પાણીનો ધોધ વહી નીકળે તેટલી સહેલાઈથી) આંચળમાંથી બધું દૂધ નીકળી જતું હોત તો શી દશા થાત? શરીર પર ઘા પડે ત્યારે બધું લોહી બહાર નીકળી જતું નથી. ભેંસના આંચળમાં પણ કુદરતે એવી જ વ્યવસ્થા કરી છે. એ કરનારો નથી દેખાતો પણ તેના અદ્રશ્ય આયોજન દ્વારા સમગ્ર સૃષ્ટિ ચાલી રહી છે.
              ગામડામાં જન્મીને મોટો થયો છું એથી ભેંસની એ પ્રકૃતિથી વાકેફ છુ. ભેંસને વર્ષોથી જે દોહતું હોય તેના સિવાય તે બીજા કોઈને દોહવા દેતી નથી. દોહનારને ભેંસ ઓળખતી નથી, પણ તેનો સ્પર્શ ઓળખે છે. ભેંસને એવી પ્રકૃતિ આપવા પાછળ કુદરતનો કયો હેતુ હશે તે આપણે જાણતા નથી પણ એવી વ્યવસ્થાને કારણે માલિક સિવાય ભેંસનું દૂધ બીજા કોઈ દોહી શકતું નથી. અમારો એ તર્ક સાચો હશે કે ખોટો પણ કુદરતે એવું આયોજન ના કર્યું હોત તો કદાચ ચરવા ગયેલી ભેંસનું દૂધ કોઈ પણ દોહી લે એવું બનતું હોત.
        ભેંસદોહનની આ પ્રક્રિયાથી સમજાય છે કે સાધારણ જણાતી બાબતમાં પણ કુદરતે કેવા સુક્ષ્માતિસુક્ષ્મ આયોજન કર્યા છે. અત્રે એ પ્રશ્ન પણ ઉદ્‌ભવે છે- શું સઘળા દૂધાળા પ્રાણીઓનું દૂધ કેવળ તેમના બચ્ચા માટે જ વપરાય છે? આપણે જોઈએ છીએ વાછરડા માટે તો માણસ બહુ ઓછું દૂધ રહેવા દે છે. પોતાના બાળકો માટે (અને ખાસ તો મહેમાનો માટે બાસૂંદી બનાવવામાં જ) એનો વધુ ઉપયોગ કરે છે. ઈશ્વરે દૂધાળા પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે જરૂરિયાતનો સેતુ સર્જીને બન્નેને એકમેકના પૂરક બનાવ્યા છે. દોસ્તો,  સૃષ્ટિસંવર્ધનના મહાયજ્ઞમાં વૃક્ષો પણ એવું જ મહત્વ ધરાવે છે. તે માણસને ફળ, ફૂલ, ખાતર, લાકડુ, પ્રાણવાયુ… કેટકેટલું આપે છે?  નાના હતા ત્યારે એક કવિતા ભણવામાં આવી હતી: ‘તરુનો બહુ આભાર… જગત પર તરુનો બહુ આભાર..!” આવતી કાલે એ વૃક્ષવરદાનની વાતો કરીશું.

    (ક્રમશ:) –દિનેશ પાંચાલ

સત્યનું ક્લોનિંગ થતું નથી

(88) સત્યનું ક્લોનિંગ થતું નથી

          ઈશ્વર વિષે ઘણા પ્રશ્નો ઉદ્‌ભવે છે. હૃદય શા માટે ધબકે છે? રૂધિરાભિસરણ, પ્રજોત્પત્તિ, ચયાપચય, શ્વાસોચ્છવાસ કે ઉત્સર્ગતંત્રની ક્રિયાઓ કોના હુકમથી થાય છે? માણસ એ બધી વ્યવસ્થા દ્વારા જીવતો રહે એવું કોણ અને શા માટે ઈચ્છે છે? આવા પ્રશ્નોના પુરાવાબધ્ધ જવાબો વિજ્ઞાનને પ્રાપ્ત થઈ શક્યાં નથી. વિજ્ઞાન કેવળ એટલું સ્વીકારે છે કે એ સર્વમાં પરમ ચેતન તત્વ (ચૈતન્ય) ની કામગીરી અનુભવી શકાય છે. એ ચૈતન્ય વિજળી જેવું છે. વિજળી નજરે દેખાતી નથી પણ જીવતા વાયરને હાથ અડાડો તો તેનો કરન્ટ અનુભવી શકાય છે. જીવ.. આત્મા.. હૃદય.. જે કહો તે, અંદર સક્રિય હોય છે. તે કારણે માનવી જીવી શકે છે. (એક જીવતા માણસ અને મૃતદેહની વચ્ચે ઈશ્વર ક્યાંક રહેલો છે) વિજ્ઞાન હૃદયની ગતિ અને તેની કામગીરી વિશે જાણી શક્યું છે પણ હ્રદયને ધબકવાની શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે અને શા માટે તે અંતે બંધ થઈ જાય છે તે જાણી શક્યું નથી.
મૃત્યુ પામેલો માણસ પૃથ્વી પર ફરીથી કોઈ અન્ય યોનિમાં જન્મે છે અથવા આજે માણસ રૂપે જીવતી વ્યક્તિ એના આગલા જન્મમાં કોઈ બીજા સ્વ‍રૂપમાં, આજ ધરતી પર જીવતી હતી એવું માનવામાં આવે છે, પણ એ માન્યતા સાચી નથી. જગતના જુદા જુદા અનેક ધર્મોમાં એ અંગે વિભિન્ન માન્યતાઓ પ્રવર્તે છે. સત્ય એક હોય તો તેના હજારો સ્વરૂપો શી રીતે હોય શકે? માણસ કે બકરીના બચ્ચાનું ક્લોનીંગ થઈ શકે- સત્યનું ક્લોનીંગ થઈ શકતું નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ.. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય મૃત્યુ્ પછી સૌની એક જ સ્થિતિ થાય છે. સૌનો નશ્વર દેહ નાશ પામે છે. તેમના આત્માને ફરીથી કોઈ નવો અવતાર મળતો નથી. પુનઃજન્મ-પૂર્વજન્મ, પાપ-પુણ્ય, ભાગ્ય-નસીબ, સ્વર્ગ-નર્ક.. એ બધી જ ભ્રામક માન્યતાઓ છે. દરેક ધર્મોમાં એ અંગે જુદી જુદી વાતો લખેલી છે. અમેરિકાના અવકાશયાત્રીઓ અનેકવાર રૉકેટો કે ઉપગ્રહો દ્વારા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી ચૂક્યા છે. એ પૈકીના સુનિતા વિલીયમ્સે કહ્યું છે: ‘ઉપર મને ક્યાંંય સ્વર્ગ- નર્કના ઈલાકાઓ દેખાયા નથી..!’ પૂર્વજન્મ- પુનઃજન્મ, સ્વર્ગ- નર્ક, ચોર્યાસી લાખ અવતારના ફેરા… આ બધી શ્રદ્ધામય બાબતો તત્વતઃ ધર્મ આધારિત છે. જે હવે પુનઃવિચારણા માગે એવી છે. પરંતુ એ વાતો ધર્મશાસ્ત્રો કે પુરાણોમાં વર્ણવાયેલી હોવાથી શ્રદ્ધાળુઓને તેની સત્યતા અંગે કોઈ શંકા જતી નથી. ધર્મશાસ્ત્રોમાં લખેલું બધું જ સાચું એવી માન્યતા દરેક ધર્મના લોકો ધરાવતા હોય છે. એથી વિજ્ઞાન અને ધર્મ વચ્ચે બે ફાંટા પડી ગયા છે. વિજ્ઞાન પ્રયોગ દ્વારા સાબિત થયેલા સત્યને જ સ્વીકારે છે, જ્યારે ધર્મ સાબિતીની કડાકૂટમાં પડતું નથી તે ધર્મગુરૂઆેએ કહેલી વાતોને (અથવા ધર્મગ્રંથોમાં લખેલી વાતોને) સાચી માની લે છે. બોલો, ચર્ચા કરવા સિવાય બીજું શું થઈ શકે..?

                                          (ક્રમશ:) –દિનેશ પાંચાલ

કાર્ય વગર કારણ કેવી રીતે સંભવી શકે..?

(83) કાર્ય વગર કારણ કેવી રીતે સંભવી શકે?  

             એક જાણીતા રેશનલિસ્ટે ઋગ્વેદનો એક શ્લોક નીચે પ્રમાણે ટાંક્યો છે – ખરેખર કોણ જાણે છે કે આ સૃષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ? અને ક્યાંથી ફંગોળાઈ? દેવો તો સંભવતઃ આ સૃષ્ટિના સર્જન પછીની નિપજ છે તો આ સૃષ્ટિ કેવી રીતે અસ્તિત્વમાં આવી તે તો પરમ વ્યોમમાં એનો જે સર્જક છે તે જ જાણે. અથવા કદાચ તે પણ જાણતો ન હોય એમ બને..!’

           દોસ્તો, ઈશ્વરનો પ્રશ્ન કેટલો પેચીદો છે તે અંગે આ શ્લોક ઘણું કહી જાય છે. જ્યાં સુધી દુનિયાનું સર્જન કેવી રીતે થયું તે વિજ્ઞાનીઓ શોધી ન કાઢે ત્યાંં સુધી તેનું સર્જન કરનાર કોક તો હશે જ એમ શ્રદ્ધાળુઓ માનતા રહેશે. કેમકે સામાન્ય બુદ્ધિથી કોઈને પણ સમજાય શકે કે કારણ વગર કાર્ય સંભવતું નથી. અને કાર્ય (પ્રકૃતિ) આપણે સગી આંખે જોઈ શકતા હોઈએ તો કર્તા વિના એ કાર્ય કેવી રીતે શક્ય બન્યું એ પ્રશ્ન ઉદ્ ભવે જ..  (જેમકે તમે બાસુંદી ખાઓ છો તો બાસુંદીનું દૂધ ક્યાંથી આવ્યું? એ મુદ્દા પર મનોમંથન કરો તો ભેંસના અસ્તિત્વનું પગેરુ મળી શકે છે. બાસુંદી ખાનારાને ભેંસ નથી દેખાતી પણ તર્કના ટેસ્ટર વડે ભેંસના અસ્તિત્વ સુધી પહોંચી શકાય છે) આમ કાર્ય અને કારણની વચ્ચે ઈશ્વર (ભેંસની જેમ) અદ્રશ્યપણે  રહેલો છે.
ઈશ્વરે શા માટે તેનું અસ્તિત્વ આટલું રહસ્યમય રાખ્યું છે તે વિશે આપણે છાતી ઠોકીને કશું કહી શકતા નથી. માત્ર બુદ્ધિ વડે તેના કારણો શોધવાની કોશિષ કરીએ છીએ. અને જ્યાં લાખો માણસોની બુદ્ધિ સંડોવાય છે ત્યારે સ્વાભાવિક જ કોઈ એક તારણ નીકળી શકાતું નથી. ‘તુન્ડે તુન્ડે મતિઃ ભિન્ના…!’ કદાચ એ કારણે જ પ્રખર રેશનલિસ્ટ બર્ટ્રાન્ડ રસેલ, ખુશવંતસિંહ, બી. પ્રેમાનંદ, અરૂણ શૌરી જેવા બૌદ્ધિકોએ તેમની જાતને આસ્તિક કે નાસ્તિક તરીકે ઓળખાવવાને બદલે અજ્ઞેયવાદી (એગનોસ્ટિક) તરીકે ઓળખાવવાનું પસંદ કર્યુ છે. (ક્રમશ:) (આવતી કાલે 84 મુ રસપ્રદ પ્રકરણ: “પ્રકૃતિની પ્રયોગશાળામાં પરમેશ્વરના પ્રેક્ટિકલ..!”)  –દિનેશ પાંચાલ

ઘર માટેની ‘પાઘડી’ એટલે સમાજ માન્ય બેઈમાની..

(52) ઘર માટેની ‘પાઘડી’ એટલે સમાજ માન્ય બેઈમાની..

            દોસ્તો, સમાજનો અનુભવ છે કે ભાડેનું મકાન લોકો આસાનીથી ખાલી કરી આપતા નથી. અમારી સોસાયટીમાં ઘણાં NRIના બંગલાઓ છે. તેઓ તેમના કરોડોના બંગલાને તાળા મારીને વિદેશોમાં વસે છે પણ ભાડે આપતા નથી.  એવા ઘણાં કિસ્સા બન્યા છે જેમાં વર્ષોથી રહેતો ભાડુત મકાનમાલિક બની ગયો હોય. ઈમાનદારીનો તકાજો એ છે કે કોકની માલિકીની વસ્તુ આપણે વર્ષો સુધી વાપરીએ છીએ ત્યારે તેના ઋણી બનીએ છીએ. તે માટે તેનો આભાર માનવાને બદલે તેને કોર્ટકચેરીના ધક્કે ચઢાવી દઈએ તો એ લૂંટારૂવૃત્તિ જ ગણાય. આપણી દંભી આસ્તિક્તા રંગ લાવે છે ત્યારે આવું થાય છે. ‘મફતનુ લઈશ નહીં’ એ ગીતાસૂત્ર ફ્રેમમાં મઢીને દીવાલે ટીંગાડી રાખવાની માણસને જેટલી મજા આવે છે તેટલી મજા પેલી દીવાલ તેના મૂળ ઘરમાલિકને પરત કરી દેવામાં નથી આવતી. માણસ આસ્તિક હોય કે નાસ્તિક પણ તે ઈમાનદાર હોય તો તેની ભક્તિ કે નાસ્તિક્તા પ્રશંસનીય બની રહે છે, બલકે ખુદ ઈશ્વરને એ માણસને વંદન કરવાનું મન થાય. સમાજમાં આવી ઘટનાઓ વિરલ હોય છે. મંદિર- મસ્જિદના ઝઘડામાં જીવતા માણસોને બાળી નાખતા નિર્દય ભક્તિખોરો કરતાં ઈન્સાનિયતમાં માનતા નાસ્તિકોનું સમાજે ચાર હાથે સ્વાગત કરવું જોઈએ.
               પરંતુ સમાજમાં એવું જોવા મળે છે કે લોકો વિચારોમાં જુદા હોય છે અને વર્તનમાં જુદા હોય છે. રામાયણની કથામાં મોરારિબાપુના કંઠે રામ અને ભરતના મિલાપની વાત સાંભળી ચોધાર આંસુડે રડી પડેલા બે સગા ભાઈઓ સાંજે કથામાંથી ઘરે આવીને ખેતરના સેઢાની તકરારમાં એકમેકના માથા ફોડી નાખે છે. (આ સાચી બનેલી ઘટના છે) દોસ્તો, એક વાત પાકે પાયે સમજાય છે. માણસો સારા પણ હોય છે અને ખરાબ પણ હોય છે. ક્યારેક તેઓ આસ્તિક હોય છે ક્યારેક નાસ્તિક…! હજારે એકાદ લીમડો મીઠો નીકળી આવે તો નસીબ! બાકી માણસની આસ્તિક્તા ઈમાનદારીની વણલખી ગેરન્ટી બની રહેતી નથી. ઘણીવાર લોકો કંકુવરણા કાવતરા કરી બેસે છે. તેમની આંગળીએ કંકુ છે કે લોહી તે ઝટ કળી શકાતું નથી. આસ્તિેક્તામાં માનવતા ભળે ત્યારે ધર્મ દીપી ઊઠે છે. માણસની પ્રભુભક્તિ, સ્નેહ અને સૌજન્યના વરખમાં વિંટળાયેલી હોય તોજ ઈશ્વરની બેંકમાં તે માણસના ખાતે જમા થઈ શકે છે. શોધવા નીકળીએ તો ઈતિહાસમાંથી એવા અનેક ઉદાહરણો મળી રહે છે. રાવણ, કંસ, દુર્યોધન, શકુની એ બધાં જ આસ્તિક હતાં છતાં એમણે માતાની કૂંખ લજવી હતી. પરવેઝ મુશર્રફ, ઔવેસી, દાઉદ ઇબ્રાહિમ, હાફિઝ સૈયદ એ બધાં મોર્ડન દૈત્યો કહેવાય.. તેઓ હંમેશા ખુદાની બંદગી કરે છે પરંતુ બંદગી માટે ઊંચા થતા તેમના હાથો લોહીથી ખરડાયેલા છે. તેઓ મૌલા અને માનવતાને ચાલાકીપૂર્વક ભેગા થવા દેતાં નથી. કદાચ તેમને પણ ખબર હશે કે ખુદા તેમની બંદગી સ્વીકારવાનો નથી પણ તેમને ખબર છે કે તે દુનિયાના કોઈ પણ ગુનેગારને સજા નથી કરતો. ગુજરાતીમાં એક કહેવત છે “મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં..!” માનો યા ન માનો પણ ભગવાન એવો “મહેતો” પુરવાર થયો છે.
         (આવતી કાલે 53મુ રસપ્રદ પ્રકરણ : “પરમેશ્વરનું પરમેનન્ટ પોષ્ટલ એડ્રેસ”)

                                                             (ક્રમશ:) –દિનેશ પાંચાલ

ઈશ્વર અંગૂર કે દ્રાક્ષ…?

       (38) ઈશ્વર અંગૂર કે દ્રાક્ષ…?

              અમારી મિત્રમંડળીમાં ભગવાનદાસકાકા ઘણીવાર બોલે છે- ‘ઈશ્વરથી આખી દુનિયા ડરે છે!’ દોસ્તો, આ વાત સાચી જણાતી નથી. ઈશ્વર રમકડાની પિસ્તોલ જેવો છે. તેનાથી કોઈ ડરતું નથી. મારી ભૂલ ના થતી હોય તો પહેલું વિશ્વયુદ્ધ ૧૯૧૪માં અને બીજું વિશ્વયુદ્ધ ૧૯૩૯મા થયેલું. (હાલ ચીન અને પાકિસ્તાનની સહિયારી ગદ્દારીને કારણે ફરીથી યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે) દુનિયામાં આજપર્યંત અનેક યુદ્ધો થયાં છે. તેમાં ય ધર્મના નામે થયેલા યુદ્ધો વધુ વધુ ખતરનાક બની રહ્યાં છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનું રમખાણ યાદ કરો. માતાની ગોદમાંથી બાળકોને ખૂંચવીને આગમાં ફેંકી દેવામાં આવ્યા હતાં. ગોધરાકાંડ… બાબરી મસ્જિદ… બેસ્ટ બેકરીકાંડ, વર્ષો પૂર્વેનો પંજાબનો આતંકવાદ.. આવા તો અનેક દસ્તાવેજી પુરાવાઓ છે. ઈશ્વરથી માણસ ડરતો હોત તો એણે આટલી હિંસા ના આચરી હોત. બલકે આજે ઈશ્વરે માણસથી ડરવું પડે એવી સ્થિેતિ ઉદ્‌ભવી છે. (આ લખાય છે ત્યારે અખબારમાં એવા સમાચાર પ્રગટ્યા કે ગઢડા સ્વામીનારાયણ મંદિરના બે સાધુઓ લાઠીના નારાયણનગરના સતદેવીદાસ આશ્રમના સાધુઓ સાથે મળી એક મજૂર મહિલાને ચોરીમાં સંડોવી દેવાની ધમકી આપી દોઢ વર્ષથી તેની સાથે ગેંગરૅપ આચરતા હતાં) કેટલાંક સંતોની સેક્સલીલાની સીડીઓ બજારમાં મળતી થઈ ગઈ છે.
                દોસ્તો, કારણ કદાચ એ છે કે પરાણે બનાવી દેવામાં આવેલા સાધુઓની રૂંધાયેલી વાસના બળ કરી માથુ ઊંચકી રહી છે. (મતલબ ઘાટ કંઈક એવો થયો છે કે – ‘જે દુ:ખે જોગી થયા તે દુ:ખ આગળ ને આગળ..!”) એક વ્યંગકારે કહેલું: ‘સાધુઓનું બ્રહ્મચર્ય બંડ પોકારે ત્યારે શ્રદ્ધાનું શિયળ લૂંટાય છે!’ કથાકારો, ધર્મગુરુઓ અને તમામ સાધુ સંતો વારંવાર કહે છે- ‘માણસે ભગવાનથી ડરીને ચાલવું જોઈએ!’ બચુભાઈ કહે છે- ‘ભગવાનથી ડરવાની વાત મને કોઈ એંગલથી સાચી જણાતી નથી. માણસે ખોટું કરવાથી ડરવું જોઈએ. ખોટું ના કરતા માણસે કોઈથી ય ડરવાની શી જરૂર?” (ચોરી, કે લૂંટફાટ ન કરતા સજ્જન માણસે પોલીસથી ડરવાની જરૂર ખરી? પાપ કરવાથી ડરો, ભગવાનથી નહીં!) ભગવાન સૃષ્ટિનો સર્જક છે. તે કોઈ આતંકવાદી કે બુટલેગર નથી. ખેતરોમાં પક્ષીઓને ડરાવવા માટે ચાડિયો ગોઠવવામાં આવે છે તે રીતે ભગવાન એ કાંઈ માણસોને ડરાવવાનો ચાડિયો નથી. ભગવાન ખૂબ સુંદર, પવિત્ર અને ચાહવા જેવી ચીજ છે. એને શત્રુ નહીં, મિત્ર માનો. એનાથી ડરો નહીં, આદર કરો. એને ભજવા કરતાં સમજવાનો પ્રયત્ન કરો.’
             ઈશ્વર વિશે તમામ નાસ્તિકો એકમત હોય છે. કેમકે ઈશ્વર નથી એમ કહેવામાં કોઈ જવાબદારી નથી. આસ્તિક્તા એ બહુ કપરી જવાબદારી છે. ઈશ્વરની લાજ રહે એ રીતે જીવવાનું અઘરું છે. જેમકે કોઈ દેશની નાગરિક્તા ઠુકરાવવાનું સરળ હોય છે. કેમકે નાગરિક્તાનો ઈન્કાર કરવાથી તે દેશના કાયદાકાનૂન પાળવાની જવાબદારી રહેતી નથી. પરંતુ તમે નાગરિક હો તો જે તે દેશના પ્રત્યેક કાયદાકાનૂન પાળવાની જવાબદારી રહે છે. ભગવાન છે જ નહીં એમ માનતા માણસો વચ્ચે વિચારભેદની સંભાવના હોતી નથી. એ કારણે નાસ્તિકો વચ્ચે સંઘર્ષ થતો નથી. પરંતુ ઈશ્વરમાં માનતા શ્રદ્ધાળુઓ પોતપોતાના પ્રાઈવેટ પરમેશ્વરોનું પ્રતિનિધિત્વ કરીને લડવાનું ચૂકતા નથી. દરેક શ્રદ્ધાળુઓ પાસે ઈશ્વર અંગે તેમની અલગ અલગ કલ્પનાઓ હોય છે. એકની કલ્પનાનો તાળો બીજા સાથે મળતો નથી. ક્યારેક તો બે આસ્તિકોના ઈશ્વર વચ્ચે પણ ‘અંગૂર’ અને ‘દ્રાક્ષ’ જેવો (કેવળ શાબ્દિક) ફેર હોય છે. (તેમનો સ્થાયી ઝઘડો એ હોય છે કે “મારો ભગવાન જ સાચો અને તારો જૂઠો..!”) બન્ને એકમેકના ઈશ્વર સામે જીદપૂર્વક આંખો મીંચી રાખે છે. દુનિયાભરમાં ધર્મ અને ઈશ્વર અંગે લડાતાં યુદ્ધોમાં અંગૂર અને દ્રાક્ષની જ મોકાણ હોય છે. રામ અને રહીમની રાશિ એક, પણ તેમના ભક્તોમાં ભાગલાની ભવાઈ મોટી..! તેમની રાશિ તો જુદી… જ પણ જાતિ જુદી… ભક્તિ જુદી અને મતિ પણ જૂદી..! ભગવાનને પણ ભક્તોની આવી કટ્ટર સાંપ્રદાયિક્તા ખૂબ પીડા આપતી હશે. પણ માણસ આગળ એય બાપડો શું કરે..?

                                                             (ક્રમશ:) –દિનેશ પાંચાલ

નિયમિત બોડી ચેકપ કરાવો

      જીવન સરિતાને તીરે..’ “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર -દિનેશ પાંચાલ Mo: 94281 60508
                                                નિયમિત બોડી ચેકપ કરાવો
           વર્ષો પૂર્વે પિતાજીને એટેક આવ્યો હતો. તે અરસામાં અમે હ્રદયરોગ વિશે થોડા પુસ્તકો વાંચ્યા હતા. ત્યારે અમને સમજાયું કે ઈશ્વર અલ્લાહ વિશે ન જાણીએ તેમાં એટલું નુકસાન નથી જેટલું અલ્સર વિષે ન જાણવામાં છે. (આજે કૃષ્ણ વિશે જાણવા કરતાં ‘કોરોના’ વિશે જાણવું વધુ જરૂરી બન્યું છે) અમારા બચુભાઈ કહે છે: ‘રામ કરતાં હ્રદય વિષે જાણવાનું વધુ જરૂરી છે, કેમકે તનની અયોધ્યામાંથી રામ રૂઠીને ચાલ્યા જાય છે ત્યારે માણસને સમજાય છે કે જીવનભર રામાયણ વાંચતા રહ્યા પણ રોગો અને સારવાર વિષે કશું જાણ્યું નહીં. આપણે કૃષ્ણ વિષે જાણીએ છીએ તેટલું કોલેસ્ટોરોલ વિષે જાણતા નથી. કંસ વિષે જાણીએ છીએ પણ કેન્સર વિષે (‘કેન્સર એટલે કેન્સલ’) એટલું જ જાણીએ છીએ. સુદામા અને વિદૂર વિષે જાણીએ છીએ તેટલું દમ અને સુગર વિષે નથી જાણતા. અનુભવીઓ કહે છે બીડી તમાકુ કે ગૂટકાથી તમારું મોઢુ ભરેલું હોય તે સંજોગોમાં તમારા હાથમાં ‘કૃષ્ણલીલા’ને બદલે કેન્સરના ઉપચારનું પુસ્તક હશે તો શક્ય છે તમે મોંમાનો તમાકુ થૂંકી નાખશો. સત્ય એ છે કે ઘડપણમાં ગીતા વાંચવાની કોઈ ના પાડતું નથી પણ અખબારોની આરોગ્યપૂર્તિ તો અચૂક અચુક વાંચવી જોઈએ. રામકથાના પારાયણમાં બેસવામાં નુકસાન નથી પણ યોગાસનમાં કે પ્રાણાયામમાં બેસવામાં વધુ સમજદારી રહેલી છે.
કોઈ ધર્મગુરુ તમને આકાશના કયા ખૂણામાં સ્વર્ગ આવેલું છે તેની માહિતી આપે તેના કરતાં કોઈ ડોક્ટર તમારા પેટમાં ક્યાં અલ્સરની ગાંઠ આવેલી છે તે જણાવે તે વધુ ઉપયોગી બાબત છે. એથી તમારા સંતોષ ખાતર વર્ષમાં એક સત્યનારાયણની કથા ભલે કરાવો પણ એકવાર બોડી ચેકપ કરાવવાનું કદી ના ચૂકશો. આજના તણાવયુક્ત જનજીવનમાં દશમાંથી આઠ માણસને સુગર અને પ્રેસર હોય છે. એથી સુગ્રીવ કે પરસુરામ વિષે નહીં જાણો તો ચાલશે પણ સુગર અને પ્રેસરને બરાબર ઓળખી લો. દશામા કે સંતોષીમા વિષે જાણવા કરતાં દમ અને સાયટ્રીકા વિષે જાણી લેવામાં ફાયદો છે. બચુભાઈને છેલ્લા બે વર્ષથી પગે વા થયો છે. તેઓ કહે છે: ‘યુવાન વયે મંદિરમાં નહીં, અખાડામાં જશો તો ઘડપણમાં મંદિર સુધી ચાલીને જઈ શકવા જેટલું ‘ભંડોળ’ પગમાં જળવાઈ રહેશે.’ અમારા કાકીને ટીબી થયો હતો. તેમના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે સ્વજનો તેમની પથારી પાસે બેસી ગીતા વાંચતા હતા. બચુભાઈએ ત્યારે સૌને મો પર સંભળાવેલું: ‘ટીબીમાં જે કાળજી લેવી જોઈએ તે તમે લીધી નહીં ને હવે અંત ઘડીએ એમને ગીતા વાંચી સંભળાવો છો તેને બદલે ટીબીના રોગની જાણકારી આપતું કોઈ પુસ્તક વેળાસર વાંચી સંભળાવ્યું હોત તો આજે ગીતા વાંચવાની નોબત ના આવી હોત!’
        દોસ્તો, તમારો બેડરૂમ ફૂલ્લી એરકન્ડિશન્ડ હશે પણ તમને વા કે દમની બીમારી હશે તો એરકન્ડિશન્ડનું સુખ તમે નહીં ભોગવી શકો. સુખ માત્ર ભૌત્તિક સાધનોમાં નથી હોતું, તે ભોગવી શકવાની આપણી પાત્રતામાં રહેલું છે. કોઈ પુરુષ સોનાનો કાંસકો ખરીદી શકે એટલો ધનવાન હોય પણ તેને માથે વાળ જ ન હોય તો..? ઘણીવાર પેટમાં ચરબીનો અદ્રશ્ય સંગ્રહ થયેલો હોય છે. એથી બેંકમાં લોકર હોય એના કરતાં ઘરમાં વોકર હોય એ બહુ જરૂરી છે. રોજ ત્રણ ચાર કિલોમીટર ચાલવું એ આજના યંત્રયુગની અનિવાર્ય જરૂરિયાત છે. સ્ત્રીઓ બ્યૂટી પાર્લરમાં જઈ હાથ પગ અને ચહેરા પરની રૂવાંટી દૂર કરાવે છે. ફેસિયલ, બ્લીચીંગ કે વૅક્સ કરાવે છે. આજના ફેશનના યુગમાં કદાચ એ જરૂરી છે પણ પેટ અને શરીર પર વધેલી ચરબીની તેમને ખાસ ચિંતા હોતી નથી. સોનુ શરીરનો બાહ્ય શણગાર બની શકે છે. પરંતુ કોલેસ્ટોરોલ, હિમોગ્લોબીન, સૂગર, પ્રેસર વગેરેનું નિયમન એ શરીરની ભીતરી તાકાત બની રહે છે. ક્યારેક કંગન, નેક્લેસ કે બંગડીઓના બિલ કરતાં કાર્ડિયોગ્રામ, એન્ડોસ્કોપી કે બાયપ્સીનું બિલ વધારે આવે છે. (બંગડી વેચીને બાયપ્સી કરાવવી પડે એવા સંજોગો પણ ઊભા થાય છે) બેંકની પાસબુકમાં વધારે બેલેન્સ જેટલું રાહત ભરેલું હોય છે, તેટલું દેહની બેંકમાં લાલકણ, હિમોગ્લોબીન, કેલ્શિયમ, વિટામીન્સ વગેરેનું બેલેન્સ વધારે હોય તે જરૂરી છે. હ્રદયરૂપી લોકરના એ કિંમતી ઘરેણાઓ છે. આપણે બેંકના લોકરનું નિયમિત ભાડું ભરવાના જેટલા આગ્રહી હોઈએ છીએ તેટલા નિયમિત બોડીચેકપ કરાવવાના આગ્રહી હોતા નથી.
ઘરેણાના ડબ્બામાંથી એકાદ ઘરેણું ઓછું થઈ જાય તો આખું કુટુંબ ચિંતામાં પડી જાય છે. પણ લોહીમાં લાલકણ, હિમોગ્લોબિન, કે કેલ્શિયમ ઓછુ થઈ જાય છે, તેની જાણ આપણને છેક હોસ્પિટલના ખાટલે જ પડે છે. સૌને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. પણ શરીર ધર્મ નહીં પાળો તો એ સૌથી મોટો અધર્મ બની રહેશે. નિયમીત બોડી ચેકપ કરાવવો એ નિયમીત માળા ફેરવવા કરતાં ય વધુ જરૂરી બની ચૂક્યું છે. બેંકની પાસબુકમાં એન્ટ્રી કરાવવાનું આપણે ચૂકતા નથી. કેમકે આપણા ખાતામાં કેટલું બેલેન્સ છે તે જાણવાનું આપણે માટે જરૂરી હોય છે. આપણા દેહની બેંકમાં તંદુરસ્તીનું બેલેન્સ કેટલું છે તે જાણવાનું પણ એટલું જ જરૂરી છે.
                                                              ધૂપછાંવ
કૃષ્ણ વિશે બધું જાણતા હોઈએ પણ કોરોનામાં શી સાવચેતી રાખવી તે ન જાણતા હોઈશું તો જીવ જોખમમાં આવી પડશે.

ઈશ્વર દર્શન વાસ્તવમાં શું છે ?

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ

ઈશ્વર દર્શન વાસ્તવમાં શું છે ?

માણસે રંગબેરંગી વસ્ત્રો બનાવ્યા પણ ચામડી બનાવી શક્યો નથી. અન્ન પકવ્યું પણ અન્નનળી બનાવી શક્યો નથી. રોબો બનાવ્યો પણ રોબોની આંખમાં હર્ષ અને આનંદના ઝળઝળિયાં આવી શકતાં નથી. માણસ સમયની ગતિવિધિ માપી શક્યો પણ સમયને થંભાવી શકે એવી બ્રેક બનાવી શક્યો નહીં. માણસે માઈક્રોફોન બનાવ્યું પણ અવાજ બનાવી શક્યો નહીં. તેનો અવાજ બંધ થઈ જાય છે ત્યારે તે મૂંગો બની જાય છે. કદાચ મૂંગા માણસના મૌનમાં ઈશ્વરના અસ્તિત્વની ખામોશ સાબિતી રહેલી છે. માણસે સેંકડો મંદિરો બાંધ્યા પણ ભગવાનને બાંધી શક્યો નહીં. એ કરવા ધારે તો નદી, પર્વત કે સમુદ્રોનો ક્ષણમાં નાશ કરી શકે પણ તેની પુન: રચના કરવાનું તેનું ગજુ નથી. માણસ કાંડા ઘડિયાળ બનાવી શકે છે પણ કાંડુ બનાવી શક્તો નથી. માણસ લોખંડ બનાવી શકે છે પણ લોહી માટે તો ઈશ્વર પર જ આધાર રાખવો પડે છે. ભવિષ્યમાં કદાચ એ દાંતના ચોકઠાની જેમ જીભનું ચોકઠું પણ બનાવી શકશે પણ તે કૃત્રિમ જીભ સ્વાદ માણી શકશે ખરી? (રોબોના મોઢામાં બરફીનો ટૂકડો મૂકો તો તે ઝૂમી ઊઠતો નથી!)
દેહના પ્રત્યેક અંગો પાસેથી ચોક્કસ કામ લેવાનું કુદરતનું વ્યવસ્થિત આયોજન છે. એ કારણે કુદરતે નખ સખત બાનવ્યા અને જીભને કોમળ બનાવી.! દાંતે ઘંટીના પૈંડા જેવું (દળવાનું) સખત કામ કરવાનું રહે છે પણ આંખ નાજુક છે અને તેની કામગીરી પણ એવી જ નાજુક છે. એથી તેને વધુ સુરક્ષાની જરૂર હોવાથી આંખને ગોખલામાં ગોઠવી અને હ્રદયને તો વળી એથીય અધિક સુરક્ષાની જરૂર હોઈ તેનું સ્થાન પાંસળીઓના બખ્તર વચ્ચે રાખવામાં આવ્યું. આવું પ્લાનીંગ ફૂલી આયોજન કેવળ અકસ્માત ના હોઈ શકે. તે પાછળ અવશ્ય કોઈકનો દોરી સંચાર છે.
એક બીજો પ્રશ્ન થાય છે: ‘મન ક્યાં આવેલું છે..? તે શી રીતે વિચારી શકે છે? દિલમાં લાગણી કેવી રીતે પેદા થાય છે..? નફરત, ક્રોધ, પ્રેમ, કરુણા, માયા, આશા–નિરાશા તથા ભય જેવી લાગણી શું કેવળ અકસ્માત છે? અને બુદ્ધિ..?? એ ક્યાં અને કેવી રીતે પેદા થાય છે..? માણસ બુદ્ધિવર્ધનના વ્યવસ્થિત ક્લાસ ચલાવે તો પણ આઈન્સ્ટાઈન કે સોક્રેટીસ જેવા બુદ્ધિશાળી માણસો પેદા કરી શકાતા નથી. પ્રશ્ન થાય છે– આ બુદ્ધિ કોની દેન છે? બધાં માણસો એક સરખા બુદ્ધિશાળી કેમ હોતા નથી? એક માતાના બે જોડિયા સંતાનોની દિમાગી ક્ષમતા કેમ જુદી જુદી હોય છે..? વિચાર એ કયું તત્વ છે? માણસ કેવી રીતે વિચારી શકે છે? ગાય, બળદ કે ભેંશને વિચારો કેમ આવતા નથી?
માણસ ઓક્સિજન બનાવી શક્યો પણ વક્ષનું સર્જન (કોઈ લેબોરેટરીમાં) કરી શકાતું નથી. કરોડો માઈલની ઝડપે હવામાં મોજા ફેલાય છે. તે વડે માણસ ટીવી જેવા દ્રશ્ય શ્રાવ્ય યંત્રોની શોધ કરી શક્યો પણ ક્યારેક બંધ આંખે સેકન્ડના છઠ્ઠા ભાગમાં વિદેશમાં બેઠેલા સ્વજનનું મુખારવિંદ મનના ટેલિવિઝન પર ઉપસે છે એ કરામત કેવી રીતે શક્ય બની ? માણસનું મન પ્રતિ સેકન્ડે અબજો માઈલની ઝડપે દોડે છે.. એ ઝડપ કોણે શક્ય બનાવી? માણસ હાડ, ચામડુ અને માંસનો બન્યો છે. એમાં એક ત્રીજુ અનિવાર્ય તત્વ પણ ભળેલું છે અને તે છે જીવ..! વિજ્ઞાન ખૂબ પ્રગતિ કરી હોવા છતાં માણસમાં તે ચૈતન્ય કે લાગણી પ્રગટાવી શકતો નથી. માણસે દેહના બધાં અંગો બનાવ્યા પણ માણસની અંદર ધબકતું હ્રદય બનાવી શક્યો નહીં. રોબો બનાવી શ્ક્યો પણ રોબોને બનાવી શકે એવું મગજ બનાવી શક્યો નહીં. પેસમેકર બનાવી શક્યો પણ તેની અંદર લાગણીથી ભીનુ ભીનુ થઈ શકે એવું દિલ બનાવી શક્યો નહીં. બળ પેદા કરી શક્યો પણ બુદ્ધિ ઉત્પન્ન કરી શક્યો નહીં.
માણસે વિજ્ઞાનની મદદથી ઘણી વસ્તુઓ બનાવી પણ જીવ ઉત્પન્ન કરી તેમાં ચૈતન્ય મૂકી શક્યો નહીં. જીવ ક્યાંથી આવે છે ક્યાં જાય છે. આજ સુધી વિજ્ઞાન પણ તે જાણી શક્યું નથી. એ માટે સામાન્ય માણસની જેમ વિજ્ઞાન પાસે પણ એક જ જવાબ છે: “ભગવાન જાણે..!” પ્રશ્નોનો પાર નથી પણ જવાબો જડતા નથી.

ધૂપછાંવ

માણસને ઐશ્વર્યની અનુભૂતિ થઈ શકે છે પણ ઈશ્વર કદી હાથમાં આવતો નથી. સદીઓથી માણસ તેની શોધમાં છે પણ હજી તેનું સાચું સ્વરૂપ માણસ પામી શક્યો નથી. આવી તમામ અગોચર બાબતો પર ચિંતન કરી તેણે મૂળ સત્યની ખોજ કરવી જોઈએ.

સૃષ્ટિનું સર્જન.. અકસ્માત કે આયોજન..?

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ
તા: 5-05-24

સૃષ્ટિનું સર્જન.. અકસ્માત કે આયોજન..?

માણસ કેવી રીતે જન્મે છે તેનું જ્ઞાન માણસને પ્રાપ્ત થઈ શક્યું છે પણ તે શા માટે જન્મે છે તેનો જવાબ હજી તેને જડ્યો નથી. પ્રશ્ન થાય છે ગર્ભાશયમાં સ્ત્રી–પુરૂષના બીજના સંયોજન વડે ગર્ભધારણની પ્રક્રિયા થવી એ કામગીરી કોની છે? કોણ ઈચ્છે છે કે સ્ત્રી પુરૂષના મિલનથી પ્રજોત્પત્તિ થવી જોઈએ? બલકે એથી ય મહત્વનો પ્રશ્ન એ છે કે માણસે શા માટે જન્મવું જોઈએ માણસ ન જન્મે તે કોને પરવડે એમ ન હતું? સદીઓથી સ્ત્રીનું ગર્ભાશય સ્વયંસંચાલિત યંત્રની જેમ પ્રજોત્પત્તિ કરતું રહ્યું છે એ ઘટના પાછળ કોનો હાથ છે..? માણસે આવા ઘણાં પ્રશ્નનો તાંતણો પકડી મૂળ સુધી પહોંચવાની કોશિષ કરી છે અને તે આખા પ્રોસેસમાંથી શ્રદ્ધા અને સાયન્સનો જન્મ થયો છે.
પુરૂષો કરતાં સ્ત્રીઓનું દૈહિક બંધારણ નાજુક અને સૌંદર્યમંડિત હોય છે. સ્ત્રી કરતાં પુરૂષ દૈહિક રીતે થોડો સખત અને સ્વભાવે બરડ હોય છે. બન્નેના દેખાવથી લઈને પ્રકૃતિ અને તેમના મનોશારીરિક લક્ષણો વચ્ચે આટલો ગાઢ તફાવત શા કારણે છે? કોણે રાખ્યો છે એ તફાવત? એવી ભિન્ન્તા રાખવાનો આશય શો હોય શકે? પુરૂષોને બરછટ દાઢી આપી અને સ્ત્રીઓનો ચહેરો કોમળ બનાવ્યો; શું એ કેવળ એક અકસ્માત હશે? સ્ત્રી થકી બાળકનું પેદા થવું એ સ્વયંમ્ એક અદ્ભૂત અને ઐશ્વર્યમય ઘટના છે (અલબત્ વસ્તિવિસ્ફોટને કારણે ઉદ્ભવેલી ગંભીર પરિસ્થિતિને કારણે હવે એ પ્રકારના ઐશ્વર્યનો આપણે ઈન્કાર કરવો રહ્યો. (એવી નાસ્તિક્તામાં જ માણસ જાતનું ભલુ છે!)
સૃષ્ટિમાં રોજ બરોજ એવી ઘટનાઓ બને છે જેમાં માણસને પરમેશ્વરનો પરિચય થાય છે. કેટલાંક સાધારણ પ્રશ્નો જોઈશું તો સમજાશે કે સૃષ્ટિનું સર્જન કરનાર કોણ છે તે આપણે જાણતા નથી પણ તેની પ્રત્યેક રચનામાં બુદ્ધિપૂર્વકનું આયોજન જોઈ શકાય છે. જેમકે બાળકના જન્મની જવાબદારી સ્ત્રીને માથે નાખીને પુરૂષોને સ્તન આપ્યાં હોય એવું અળવિતરું એણે કર્યું નથી. બીજો પ્રશ્ન એ છે કે સ્ત્રી પુરૂષ ભેગા થવાથી શા માટે બાળક પેદા થાય છે..? શરીર વિજ્ઞાન બાળક પેદા થવાની તમામ કુદરતી પ્રક્રિયાનો તાગ મેળવી શક્યું છે. બલકે હવે તો વિજ્ઞાને કુદરતી પ્રક્રિયાઓનું અનુકરણ કરીને ટેસ્ટટયૂબ બેબી પેદા કરવામાં પણ સફળતા મેળવી છે. પણ બાળકો શા માટે પેદા થાય છે તેનો જવાબ હજી વિજ્ઞાન શોધી શક્યું નથી. ઋતુ ઋતુઓના મોસમી પરિવર્તનો અને પ્રકૃતિની અદ્ભુત લીલાઓ જોતાં એવું અવશ્ય લાગે છે કે આ બધું કશા કારણ વિના, આકસ્મિક રીતે બનતું નથી. કોકની બુદ્ધિ એમાં વપરાઈ છે.
દોસ્તો, સર્જનહારના અદ્લસ્વરૂપનો ખ્યાલ આવતો નથી પણ માણસની પ્રત્યેક શોધમાં ચોક્ક્સ કાર્યકારણના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમાયેલા હોય છે. તે રીતે સૃષ્ટિના સર્જન પાછળ પણ કોઈનું ભેજુ વપરાયુ છે. જેમકે ઠંડી, ગરમી, વરસાદ જેવી ઘટનાઓ જ નહીં, હવા, પાણી, ખોરાક, ઓક્સીજન જેવી અનેક જીવન જરુરિયાતોની ઉપલબ્ધતા વિના શક્ય નથી. એ કોઈનું વ્યવસ્થિત આયોજન છે. નહીંતર સદીઓથી માણસ જાત વ્યવસ્થિતપણે જન્મે છે અને મરે પણ છે છતાં અકસ્માતે કોઈ માણસ ત્રણસો વર્ષ કેમ જીવી જતો નથી..? કોના અદ્રશ્ય દોરી સંચાર વડે આવી ચોક્કસ કામગીરી પાર પડે છે?? એ કીમિયાગર કોણ છે? ક્યાં છે..? કેવી રીતે તે આ બધું કરે છે? શા માટે કરે છે..? કરે છે તો તે દેખાતો કેમ નથી? એવા અનેક પ્રશ્નો બૌદ્ધિકોને થાય છે જે કદાચ સદીઓ સુધી અનુત્તર રહેવાના છે કેમકે ઈશ્વર પોતે જ એક “અનઆન્સરેબલ ક્વેશ્ચન” છે. વિજ્ઞાને અનેક ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ કરી છે પણ હજી ઘણાં ક્ષેત્રોમાં ઈશ્વરનો અકહથ્થુ ઈજારો રહ્યો છે. માણસે અત્તર બનાવ્યું પણ એ અંતર બનાવી શક્યો નથી. માણસ હજાર ગણા સારા કૃત્રિમ હાથ પગો બનાવી શકે છે પણ તેમાં કુદરતી અંગો જેવી સ્પર્શ અનુભૂતિ હોતી નથી. કોઈ કોલેજ કન્યાના હાથ પર તેનો પ્રેમી ચુંબન કરે છે ત્યારે તે છોકરીના રુંવાડા ખડા થઈ જાય છે. પણ એ હાથ લાકડાનો હોય તો એવું થઈ શકે ખરું?
કબીરજીની એક પંક્તિનું સ્મરણ થાય છે: “કસ્તુરી મૃગમેં બસે.. મૃગ ઢૂંઢે બનમાંહી.. વૈસે ઘટ ઘટ રામ બિરાજે.. દુનિયા દેખે નાહીં..!” જોકે કબીરજીએ ઉપર્યુક્ત વાત ધર્મના દષ્ટિકોણથી કહી છે પણ વિજ્ઞાનના દષ્ટિકોણથીય એ વાત એટલી જ સાચી છે. કબીરજી કહે છે કે: ‘માણસ ઈશ્વરની શોધ માટે નાહક બહાર ભટકે છે. ભગવાન તેની નસેનસમાં જીવી રહ્યો છે. સ્વામી સચ્ચિદાનંદજીએ કહેલી વાતથી પણ આ મુદ્દો ઠીક રીતે સમજી શકાશે. સ્વામીજી કહે છે: “કોઈ ડૉક્ટર કદી નાસ્તિક ન હોય શકે. કેમકે તે દેહની ભીતર પહોંચી કુદરતના દરેક ફંક્શન નજરો નજર નિહાળે છે. હ્રદયની ધડકન.. રૂધિરાભિસરણ, શ્વાસોચ્છોસ્વાસ, ખોરાકનું પાચન અને તેના સત્વોનું દરેક અંગોમાં પહોંચવું.. એ તમામ ઘટનાના મીકેનિઝમમાં ઈશ્વરને બહુ નજીકથી જોઈ શકાય છે. માણસનું હ્રદય એ ઈશ્વર નામના એન્જીનીયરે બનાવેલી અત્યંત અદ્દભૂત ડિઝાઈન છે. વિનોબા ભાવે કહેતા: (જુઓ ધૂપછાંવમાં)

ધૂપછાંવ

“જો આપણને હાથ, પગ, અને મો માથાવાળા ઈશ્વરની અપેક્ષા ના હોય તો પ્રકૃતિમાં ચોમેર પ્રભુના દર્શન થઈ શકે છે..!”
– વિનોબા ભાવે

શિવને નહીં જીવને દૂધની સાચી જરૂર છે

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ


શિવને નહીં જીવને દૂધની સાચી જરૂર છે

માણસના દેહમાં ફેફસાં, મગજ, હ્રદય વગેરે ક્યાં આવેલા છે તે જાણી શકાય છે પણ બુદ્ધિ મગજના કયા ભાગમાં આવેલી છે તે જાણી શકાતું નથી. કાળક્રમે દુન્યવી વિકાસ થતાં બુદ્ધિનું અનેક વિદ્યાઓમાં રૂપાંતર થતું ગયું. એવી એક વિદ્યા છે –રેશનાલિઝમ. સાચું “જીવનવિજ્ઞાન” એટલે રેશનાલિઝમ..!
સુરતમાં વર્ષો પહેલાં શ્રી રાવના કમીશ્નર પદે સુરતને “સ્વચ્છનગરી” નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. પરંતુ તે એક અલગ સિદ્ધિ હતી. આપણી પાર વિનાની અંધશ્રદ્ધાઓ, વહેમો, કુરિવાજો અને વધુ પડતા કર્મકાંડો જેવી ટનબંધી વૈચારિક ગંદકી હજી ગાંઠતી નથી !વર્ષો પૂર્વે સુરતની સત્યશોધક સભાએ પણ સુરતમાં અંધશ્રદ્ધાનું ડિમોલેશન આરંભ્યુ હતું. પરંતુ એ સુધારાવાદને પણ રાવ જેટલી સફળતા પ્રાપ્ત થઈ શકી ન હતી..! શ્રી રાવનું લક્ષ્યાંક શહેરને સ્વચ્છ બનાવવાનું હતુ. પ્રમાણમાં તે સહેલું હતું. તમારી ગલી સ્વચ્છ રાખો એવું લોકોને કહેવામાં કોઈ નુકસાન નથી. પરંતુ ગલી ગલીમાં ગણપતિ ના માંડો એમ કહેવાનું ઘણું અઘરું છે. ગણેશ વિસર્જન કે તાજીયાના જુલુસથી કલાકો સુધી મેઈન રોડનો ટ્રાફિક જામ થઈ જાય છે તે આજની દુ:ખદ વાસ્તવિક્તા છે. જાહેર માર્ગો પર એવા સરઘસો ના કાઢો એવું કહી શકે એવો કોઈ બીજો રાવ હજી પેદા થયો નથી. લોકો અંધશ્રદ્ધાને બાપદાદાની મિલકતની જેમ જાળવે છે.
માણસ રોજ સવારે ઉંબર ધૂએ છે. ઠાકોરજીની મૂર્તિ ધૂએ છે. શિવલિંગ ધૂએ છે. સાબુથી કપાળ ધૂએ છે. અને પછી ખરો ખેલ શરૂ થાય છે. કંકુથી એ કપાળ ગંદુ કરે છે. મૂર્તિ જો હનુમાનજીની હોય તો તેને તેલ સિંદુરથી ખરડે છે; અને શંકરજીની હોય તો તે પર દૂધ, દહીં વગેરેની રેલમછેલ કરે છે. આટલી ભક્તિ કર્યા પછી પણ માણસના મનનો મેલ અકબંધ રહે છે. ખાસ તો એક દુ:ખદ સત્યની નોંધ લેવા જેવી છે કે લાખો કરોડોનો લાભ થઈ શકે એમ હોય તો માણસ એ જ મૂર્તિના કહો તેટલા ટૂકડા કરી આપવા તૈયાર થઈ જશે. નવસારીમાં કોઈકે હનુમાનજીની મૂર્તિની આંખો ફોડી નાખી હતી. અમે ધન્યવાદ આપીએ છીએ નવસારીની પ્રજાને કે એ કામ અમુક ચોક્કસ જ્ઞાતિનું છે એમ માની કોમી રમખાણો ન ફાટી નીકળ્યા !
એક બીજો મુદ્દો પણ વિચરવા જેવો છે. કોઈ યુવાન રોજ ગીતાના બે અધ્યાય વાંચતો હોય પણ રોજ ગૂટકાની એકવીસ પડીકી આરોગી જતો હોય તો તેના ગીતાપઠનથી હરખાવા જેવું ખરું? નાનપણથી જ અનેક લુચ્ચાઈઓથી ઘેરાયેલો માણસ વેપારમાં પડે એટલે કડવી તૂમડી લીમડે ચઢી જેવો ઘાટ થાય છે. એક દુકાનદારનો અમને પરિચય છે. તે પોતાની દુકાનમાં નોકરો પાસે સખત હાથે કામ લે છે ત્યારબાદ સાંજે નોકરોને મજૂરીના પૈસા ચૂકવવામાં પણ ઈરાદાપૂર્વકનો વિલંબ કરીને તેની પાસે એકાદ કલાક વધુ વૈતરુ કરાવી લે છે. એ વેપારી દર મહિને સવા એકાવન રૂપિયાનો મનીઓર્ડર–ગોંડલ– ભૂવનેશ્વરી માતાને મોકલે છે. કોણ એને સમજાવે કે માતા કરતાં માણસને એ પૈસાની વધુ જરૂર છે.
સમગ્ર દેશમાં મંત્ર–તંત્રમાં વપરાતા દોરા ધાગાઓ, ધાર્મિક કર્મકાંડોમાં વપરાતી કંઠીઓ કે નાડાછડીઓ તથા વટસાવિત્રિ જેવા વ્રતોમાં વેડફાતું સૂતર ભેગું કરવામાં આવે તો સેંકડો ગરીબોનાં નગ્ન બાળકો પહેરી શકે એટલી ચડ્ડીઓ બની શકે. ગુજરાતમાં દર શનિવારે હનુમાનજીના મંદિરે તેલ ચઢાવવામાં આવે છે. તે સઘળું તેલ એકત્ર કરવામાં આવે તો હજારો ભૂખ પીડિત ગરીબોને એક ટાઈમ ભોજન જમાડી શકાય. પરંતુ આપણે અબિલ, ગુલાલ અને કંકુમાંથી જ ઊંચા નથી આવતા. ક્યારેક પ્રશ્ન થાય છે: આ અબિલ, ગુલાલ કંકુ, સિંદૂર વગેરેનો ધાર્મિક વિધિઓ સિવાય અન્ય શેમાં ઉપયોગ થતો હશે? જાપાન કે અમેરિકામાં કંકુના કારખાના હોતા હશે ખરા? (ત્યાં તો વૈજ્ઞાનિક શોધો ય વધુ વાસી થાય તો ફગાવી દેવામાં આવે છે)
બચુભાઈ કહે છે: ‘મારુ ચાલે તો દેશભરમાં બારસાખે લટકતાં લીંબુઓ ભેગા કરી સીવિલ હૉસ્પિટલનાં ગરીબ દરદીઓને લીંબુનું સરબત પાઉં. બલકે હું ખુદ લીંબુ હોઉં તો મને બારસાખે લટકી રહેવા કરતાં ગરીબોની તૃષા તૃપ્તિ ખાતર નીચોવાઈ જવાનું વધુ ગમે. લોબાન શબ્દ અમે માદળિયા સાથે જ સાંભળતા આવ્યા છીએ. એની સુગંધ અમને ગમે છે; પરંતુ એ જંતર મંતર, ભગત ભૂવા, કે મેલીવિદ્યાની સાધનામાં જ વપરાય છે; તેથી અત્તરની બોટલ જાજરુના ટબમાં ઠાલવવામાં આવતી હોય એવું લાગે છે. લોબાન અને માદળિયાના ગૌત્રની જ એક અન્ય વસ્તુ છે– પીંછી..! ગામડામાં આજે ય બાળકને કોઈ રોગ થયો હોય તો તેને બહારનો વળગાડ છે એમ માની પીંછી નંખાવવા ભગત પાસે લઈ જવામાં આવે છે. એ પીંછીમાં મોરના પીંછાનો ઉપયોગ કરવામાં આવે છે. એ પીંછીઓ ભગત ભૂવાઓ સિવાય અન્ય કોઈને કામમાં આવતી નથી. આજે સ્કૂલોમાં જઈ બાળકોને એ પીંછી બતાવીએ તો તેઓ એ પીંછીની કથા જાણીને આશ્ચર્ય ચકિત થઈ જાય..!

ધૂપછાંવ

એકવાર એક મેળામાં પીંછીઓ વેચતા માણસે જણાવ્યું હતું: “હું ચાલીસ વર્ષોથી પીંછીઓ વેચવાનો ધંધો કરુ છું. મારા દીકરાઓ મોર મારે છે અને તેના પીંછાઓમાંથી હું પીંછીઓ બનાવી વેચું છું. કલ્પી શકાય છે કે આજપર્યંત કેટલા મોર મર્યા હશે. ત્યારે એક અંધશ્રદ્ધા જીવિત રહી શકી હશે? જોયું…? આપણા રાષ્ટ્રીય પક્ષી મોર કરતાં આપણી અંધશ્રદ્ધાની “કૉસ્ટ ઓફ પ્રોડક્શન” કેટલી ઊંચી છે..!

મોતનો મહોત્સવ ઉજવીએ…!

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર– દિનેશ પાંચાલ


મોતનો મહોત્સવ ઉજવીએ…!

દુકાનદારો રોજ સવારે દુકાનનું શટર ખોલીને ઉંબરને બે ત્રણ વાર શ્રદ્ધાથી પગે લાગે છે પછી ગ્રાહકોને પણ એવીજ નિષ્ઠાથી લૂંટે છે. મરહુમ માનવતા અને ગંગાસ્વરૂપ પ્રમાણિક્તાનો આ દેશ છે. જ્યાં પહેલા માણસ પોતાના ગલ્લા તિજોરીમાં અગરબત્તી ફેરવે છે પછી વેપલો કરવામાં એ ગલ્લાની એવી ભૂંડી હાલત કરે છે કે લક્ષ્મીદેવી સ્વહસ્તે ધૂએ તો પણ એ ગલ્લો પવિત્ર બની શકતો નથી. દોસ્તો, પ્રમાણિક્તા વિનાનો વ્યવહાર સુગંધ વિનાની અગરબત્તી જેવો બેઅસર હોય છે. અગરબત્તીમાં અંતે રાખ બચે છે.. અપ્રમાણિક વ્યવહારમાં તો શાખ પણ બચતી નથી..!
એક ચિંતકે કહ્યું છે: ‘આપણાં ધર્મગુરૂઓને સદીઓથી એવી કૂટેવ છે કે તેઓ માણંસને કેન્દ્રમાં રાખવાને બદલે ભગવાનને કેન્દ્રમાં રાખે છે. કોણ જાણે કેમ પણ આપણે નાસ્તિક માણસને ધાર્મિક ગણવા તૈયાર નથી. ખરેખરતો એક જૂઠાબોલા આસ્તિક કરતાં સત્યવાદી નાસ્તિક વધારે ધાર્મિક ગણાય. ધર્મનો ખરો સંબંધ મંદિર, મસ્જિદ, કે દેરાસરો કરતાં પૃથ્વી પર જીવતા લાખો માણસોના કલ્યાણ સાથે વધુ જોડાયેલો છે. એથી આપણે જો એ સત્ય સમજી શક્યા હોઈએ તો લોકોને ઉપદેશવાનું છે કે ખુદા અને બંદા વચ્ચે કોઈ દલાલોની જરૂર નથી!”
એક બીજું સત્ય એ છે કે માણસને રૂદન જોડે જન્મજાત સંબંધ છે. એ જન્મે ત્યારે એના જન્મની ઘોષણા રૂદનથી કરે છે. પછી સમગ્ર જીવન દરમિયાન આંસુવાળું રૂદન એને ફાવી જાય છે. જન્મથી મૃત્યુ દરમિયાન એણે ઘણીવાર રડવું પડે છે. છેલ્લે એ મૃત્યુ પામે ત્યારે ઘણાને રડાવતો જાય છે. રૂદન માનવીની અવિભાજ્ય સંવેદના છે. કહેવાય છે કે ધાવતી ધવડાવતી થાય અને રડતો રડાવતો થાય ત્યારે જાણવું કે સંતાનો સ્વનિર્ભર થઈ ગયા છે. રૂદન મનુષ્યજીવનનું કેન્દ્રસ્થાન છે. એ કેન્દ્રસ્થાનની ફરતે જીવન રચાયું છે. બાઈબલમાં કહેવાયું છે: ‘IN THE MEADST OF LAIFE WE ARE IN DEATH..!” અર્થાત્ જીવનની વચ્ચોવચ આપણે મૃત્યુની મધ્યમાં છીએ. (જીવનની તસવીર મૃત્યુની ફ્રેમમાં મઢાયેલી છે. અંગ્રેજીમાં એમ પણ કહેવાયું છે કે: ‘ફૂલ્સ રશ ઈન વ્હેર એન્જલ ફિયર ટૂ ટ્રેડ..!’ (ડાહ્યા માણસો જ્યાં જતા પહેલા લાખ વાર વિચાર કરે છે ત્યાં મૂર્ખાઓ પ્રથમ દોડી જાય છે)
મોરારિબાપુ રામચંદ્રજીની મૂર્તિને ધનુષ્યવિહોણી બનાવી ચૂક્યા છે. એમ કરવામાં એમનો કયો હેતુ હશે તેની જાણ નથી. પણ પ્રથમ નજરે ન સમજાય તેવી કોઈ વાત હોય તો પ્રશ્ન પૂછવો જોઈએ. શક્ય છે આપણી સમજ બહારનો કોઈ ગહન મુદ્દો એમાં સમાયો હોય. સત્ય એ છે કે આજે હિંસાયુગ ચાલે છે. માનવ સમાજ હિંસાના એટમબોમ્બ પર બેઠો છે. એટમબોમ્બની જ્યોત સળગી ચૂકી છે. એ એટમબોમ્બ પર બેઠેલી માખી જેવી આપણી દશા છે. સમાજમાં ગમે ત્યારે ગમે તે સ્થળે બોમ્બવિસ્ફોટ થાય છે. માણસો મચ્છરની જેમ મરે છે. એ સંજોગોમાં એક નિર્જીવ મૂર્તિને શસ્ત્રવિહોણી બનાવવામાં કોઈ ખાસ હેતુ સમાયો હોય એવું લાગતું નથી. આ તો એવી વાત થઈ કહેવાય કે રાવણનું ચિત્ર દોરતો કોઈ ચિત્રકાર એવું મનોમંથન અનુભવે કે રાવણને દશ નહીં એક જ માથુ હોવું જોઈએ. સત્ય એ છે કે વ્યક્તિને તેના કૂકર્મો નડે છે… માથાની સંખ્યા નહીં..! માણસ હોય કે દેવતા.. તેના સદ્કર્મોથી તે પૂજાય છે અને કૂકર્મોથી વગોવાય છે. શ્રી રામે સમગ્ર જીવન દરમિયાન સેંકડો સદ્કર્મો કર્યા હતા. ધનુષ્યથી તેમણે કોઈની અકારણ હત્યા કરી ન હતી. આતંકવાદીના હાથમાનું હથિયાર નર્યુ હિંસાત્મક હોય છે. એ હથિયાર ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરતા ડોક્ટરના હાથમાંની છરી જેવું કલ્યાણકારી બની શકે તોજ માણસનું કલ્યાણ થઈ શકે..!
રામચંદ્રજીની વાત આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ. બહુધા આપણી માનસિક્તા એવી રહી છે કે જે પાણીએ મગ ચડે તે પાણીએ ચેડવી લેવા.. આજે એકવીશમી સદીમાં પણ દરેક માણસ પોતાના ગુરૂ, કે બાબાઓના કહ્યા મુજબનો એક અલગ ધર્મ પાળે છે. ક્યારેક તો તે પોતાના અંતરાત્માની વાતને કોરાણે મૂકીને ગુરૂજી જે રસ્તે ડગ માંડવા કહે તે રસ્તે ડગ માંડે છે. તેમના દરેકના સિદ્ધાંતો વર્તમાન સંજોગો સાથે સુસંગત હોતા નથી. પ્રખર રામભક્ત પણ આજે ભરત જોડે ઝઘડો કરે છે. (વધુ ફરી ક્યારેક)
ધૂપછાંવ
મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ઝઘડો થયેલો ત્યારે મોરારિબાપુ સમાધાન માટે ગયેલા. ઘણીવાર કથાકારોએ વ્યથાકારોની વેદના સાંભળવી પડે છે. સુખ અને અમીરી વચ્ચેનો સંબંધ બહુધા અનૈતિકત્ના પાયા પર રચાયેલો હોય છે. આલીશાન બંગલામાં અને મારૂતિમાં મહાલતા શેઠિયાઓ સુખના સ્મગ્લરો ગણાય છે. જે દિવસે સરકાર સુખ પર ટેક્સ વસુલ કરવાનું ચાલુ કરશે તે દિવસે પણ સૌથી ઓછો ટેક્સ કરોડપતિઓ જ ચૂકવતા હશે..! શ હહફહહહહહહહહવધુલકરવાન

આપણાં વેપારીઓની પ્રમાણિક્તા..?

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ

આપણાં વેપારીઓની પ્રમાણિક્તા..?

અમેરિકાથી આવેલી એક મહિલાએ સુરતના સાડી સ્ટોરમાંથી એક સાડી ખરીદી. પણ એક જ વાર ધોતાં સાડીના રેસા નીકળી ગયા. અમેરિકાના પ્રામાણિક માહોલથી ટેવાયેલી એ મહિલા વિશ્વાસપૂર્વક સાડી સ્ટોરના પગથિયા ચઢી અને દુકાનદારને સાડીની હાલત બતાવી. જવાબમાં દુકાનદારે ત્યાં લટકાવેલું બોર્ડ બતાવીને કહ્યું: ‘સૉરી મેડમ.., અમે વેચેલો માલ પાછો લેતા નથી…!’
દુકાનદારના વલણથી મહિલા નિરાશ તો થઈ પણ ઝઘડો કર્યા વિના બહાર નીકળી ગઈ. પછી એક ખાસ ઘટના બની. દુકાનની બહાર પગથિયા આગળ એક પર્સ પડ્યું હતું. મહિલાએ પર્સ ખોલ્યું તો અંદર 5૦૦ની નોટોનું બંડલ હતું મહિલા પર્સ લઈ અંદર આવી અને દુકાનદારને તે સુપરત કરતાં કહ્યું: ‘આ પર્સ તમારી દુકાનના પગથિયા આગળ પડ્યું હતું. કોઈ શોધતું આવે તો આપી દેજો..!” (એ પર્સનું પેલા દુકાનદારે શું કર્યું હશે તે અટકળનો વિષય હોઈ અત્રે તેની ચર્ચામાં નહીં પડીએ) પણ એ દુકાનદાર અમારા જ એક પરિચિતનો દૂરનો સગો થાય. પેલી મહિલાએ સોળ વર્ષના તેના અમેરિકાના વસવાટ દરમિયાન કદી ઈશ્વરની મૂર્તિ આગળ દીવા દીવેટ કર્યા નહોતા. ઘરમાં તેણે યજ્ઞ કે સત્યનારાયણની કથા પણ કરાવી ન હતી.. જ્યારે પેલો દુકાનદાર પૂરો ધાર્મિક..! દર મહિને ઘરમાં સત્યનારાયણની કથા કરાવે. તિર્થયાત્રા કરવાનું પણ ચૂકે નહીં..! તાત્પર્ય એટલું જ કે ઈમાનદાર માણસના ચહેરા પર ઈમાનદારીનું બોર્ડ લટકાવ્યું નથી હોતું, પણ બેઈમાન માણસો બોર્ડ બતાવીને બેઈમાની કરી લે છે. અર્થાત્ સાડી સ્ટોરમાંથી ખરીદી શકાય છે. પણ ઈમાનદારીના સ્ટોર નથી હોતા. ચશ્મા પહેરવાથી કેવળ જોઈ શકાય છે. પણ શું જોવું તે માણસે નક્કી કરવાનું હોય છે. દોસ્તો, સત્ય એ છે કે ધર્મસંપ્રદાયોથી ફાટફાટ થતા આ દેશમાં લોકો ટીલાં ટપકાંવાળા લોકોને વધુ આદરથી જુએ છે. પરંતુ જે રીતે બનાવટી કાટલાંને કારણે વજનમાં છેતરાવાનો ભય રહે છે તે રીતે ખોટા માપદંડોને કારણે શ્રદ્ધામાં પણ છેતરાવાનો ભય રહે છે. દેહ પર ભગવા વસ્ત્રો ધારણ કરનારા ભગવાછાપ મવાલીઓ તેમની કોઈ શિષ્યા પર બળાત્કાર નહીં કરે ત્યાં સુધી ઝટ ઓળખાતા નથી.
હમણાં એક કોલેજીયને 2500 ના બૂટ ખરીદવાનો આગ્રહ રાખ્યો. આજના યુવાનો હજાર બારસોના બૂટને ‘બિલો ડિગ્નિટી’ સમજે છે. ‘ગરીબ માબાપ દીકરાની ડિગ્નિટી જાળવવા દેવુ કરી છૂટે છે, પણ દુ:ખ એ વાતનું છે કે અઢી હજારના બૂટ પહેરીને કયા માર્ગે ચાલવું તેનું દીકરાઓને ભાન હોતું નથી. તેમની મંજિલ બહુધા પાનનો ગલ્લો, નુક્કડ કે સિનેમા હૉલ હોય છે. એ લિસ્ટમાં દૂર દૂર સુધી પુસ્તકાલયનો સમાવેશ થતો નથી.
દોસ્તો, આપણી મૂળ ચર્ચા આસ્તિક્તા અને નાસ્તિક્તાની છે. એ બે વચ્ચે નક્કર સત્યતાનું પવિત્ર તત્વ પડેલું હોય છે. પણ માણસને તે દેખાતું નથી. આંખ, કાન અને હોઠ જેવાં પ્રેમવાહક અંગો બીજાં એકે નથી. ઈશ્વરે સ્ત્રીઓને સુંદર હોઠ આપ્યાં છે. તે પર લાલી લાગે છે ત્યારે એ સૌંદર્યને ચાર ચાંદ લાગી જાય છે. પરંતુ હજી એવી લિપસ્ટિક શોધાઈ નથી જે સ્ત્રીના હોઠ વચ્ચેથી નફરત અને ક્રોધના વાવાઝોડાને પ્રગટી ઉઠતું અટકાવે. ક્યારેક કાનના કોલોબોરેશનથી પ્રેમના કેવા સુંદર ઈન્દ્રધનુષ રચાય છે તે જોઈએ છીએ ત્યારે કુદરતની કોઈ રોમાંચક કવિતા માણતા હોઈએ એવું લાગે છે. એમાં આંખ અવાજ વિનાનું બોલે છે અને કાન તરંગ વિનાનું સાંભળે છે.
અમે એક કુટુંબને ઓળખીએ છીએ જ્યાં નવરાત્રિ સિવાય પણ સાસુ વહુ વચ્ચે નિયમિત “દાંડિયા રાસ” રમાતા રહે છે. હમણાં એ સાસુ વહુએ અલગ ઘર માંડ્યા ત્યારે ફર્નિચર વગેરે વહેંચવાની બાબતે આખા મહોલ્લાને તેમનો “ફાઈનલ રાઉન્ડ” જોવાની તક મળી. દોસ્તો, સંસારના સ્ટેજ પર નિરંતર આક્રોશની આતશબાજી થતી રહે છે. સ્વ. જયન્ત પાઠકે એથી જ લખ્યું છે: ‘રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે..!’
સંસારના દેશી હિશાબ પ્રમાણે માણસ પર દુ:ખના ડૂંગરો તૂટી પડે છે ત્યારે એ જિંદગીભર એણે ફેરવેલી માળા, સાંભળેલી રામકથાઓ, અને કરેલી ભક્તિનું ભગવાન પાસેથી તે વળતર ઈચ્છે છે. અમેરિકામાં આખી જિંદગી ડોલર કમાતો માણસ ભારતમાં આવી ડોલરનું ઈન્ડિયન કરન્સીમાં રૂપાન્તર કરાવે છે તે રીતે માણસ ભગવાન પ્રત્યેની એની ભક્તિને આશીર્વાદમાં એન્કેશ કરાવે છે; તેની ગાઢ ભક્તિને કારણે ભગવાન તેને અચૂક મદદ કરશે એવી એના દિલમાં શ્રદ્ધા હોય છે. બચુભાઈ જેવા મિત્રો એને બોગસ ગણાવે છે પરંતુ એક વાત અવગણી શકાય એમ નથી દુનિયાના કરોડો લોકો એ કહેવાતી “બોગસ” આધ્યાત્મિક શાંતિ પાછળ પડ્યા છે. એ શાંતિ તેને મળતી હશે કે નહીં તે ભગવાન જાણે પણ ઈશ્વર પ્રત્યેની ગાઢ આસ્થાને કારણે તેમને દુ:ખમાં ટકી રહેવાનું બળ જરૂર મળે છે..!

ધૂપછાંવ

કોઈ લડાક વહુ નવરાત્રિમાં શણગાર સજી ડિસ્કો રમવા નીકળે અને ઘરડા સાસુમા છોકરાઓને સાચવવાની ના કહી દે ત્યારે વહુના લાલી રંગ્યા હોઠમાંથી જે ગાલી વછૂટે છે તે સાંભળી મહાકાલીના મગજને પણ ખાલી ચઢી જાય છે.

એક ગૅસ સિલીન્ડરની ડેથ કેપેસીટી કેટલી…?

      “જીવન સરિતાને તીરે…”  “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર–  દિનેશ પાંચાલ

                         

 એક ગૅસ સિલીન્ડરની ડેથ કેપેસીટી કેટલી…?

       એક જીનને ભસ્મીભૂત કરવા અગ્નિદેવ તેની પાછળ પડ્યા. અગ્નિદેવે જીનને      એક બાટલામાં પૂરી દઈને માણસને હવાલે કરી દીધા; બસ ત્યારથી અગ્નિદેવ ગૅસનો અવતાર ધારણ કરીને માણસના રસોડે રસોઈયાની નોકરી કરે છે. આ વાત રમૂજરુપે ક્યાંક વાંચેલી, પણ ગૅસની વાત રમૂજમાં ઉડાવી દેવા જેવી નથી. ગૅસનું સ્વરૂપ વાયુ પ્રકારનું છે પણ લાપરવાહ રહ્યા તો તે ભલભલાની આયુ ઓછી કરી નાખે છે. દેશના  ૮૦ ટકા  લોકો રાંધણગૅસ વાપરે છે. તેથી ગૅસની ઉપયોગીતા એ વ્યાપક સમાજને સ્પર્શતી બાબત છે. જોકે તો પણ અમે અહીં રાંધણગૅસનો વિષય પસંદ ના કર્યો હોત જો બે દિવસ પર એક પરિચિત બહેનને ત્યાં ગૅસનો મોટો ભડકો ના થયો હોત તો..! એ બહેન રોજ રાત્રે મોતની ઝાંપલી ઉઘાડી રાખીને સૂએ. મતલબ એમને એવી કૂટેવ કે રસોઈ કામ પતી ગયા બાદ માત્ર સગડીની સ્વીચ જ બંધ કરેઅને રેગ્યુલેટરની સ્વીચ ચાલુ રાખે…! એક દિવસ થયું એવું કે ઉંદરોએ ગૅસની નળી કાતરી નાખી ! ગૅસ લીક થવા લાગ્યો. ગંધ ફેલાઈ જતાં બહેન રસોડામાં દોડી ગયા; અને જેવી લાઈટની સ્વીચ ઓન કરી કે તુરંત પ્રચંડ ધડાકો થયો. દીવાલ તૂટી ગઈ. બહેન માંડ બચ્યા પણ તેમની હાલત જીવતા મડદા જેવી થઈ ગઈ છે.

દેશમાં દશમાંથી છ ઘરોમાં રાત્રે રેગ્યુલેટરની સ્વીચ બંધ કરવામાં આવતી નથી. આપણે ત્યાં આજપર્યંત ગૅસના ધડાકાથી કેટલા માણસો મર્યા તેનો સર્વે કરવા જેવો છે. (એક વાર શ્રી વિનોદ ભટ્ટે રિક્ષાની પાછળ લખાતા નામો અંગે વ્યંગમાં લખ્યું હતું: ‘રિક્ષાના પૈંડા નીચે કચડાઈ મરેલા શહીદોના એ નામ હોય છે‘) તે રીતે બાટલામાં કુલ કેટલા કિલો ગૅસ છે તે સૂચવતો એ આંકડો હોય છે. પણ બચુભાઈએ કલ્પના કરેલી: ‘ એ ગૅસ સિલિન્ડર ફાટે તો કેટલા માણસોને મારી નાખી શકે તેની એવરેજ દર્શાવતો એ આંકડો હોય છે. અર્થાત્ “એ આંકડો બાટલાની “ડેથ કેપેસિટિ” (મારણક્ષમતા) કેટલી છે તે સૂચવે છે. ખેર, એ જે હોય તે પણ આ ધરમકરમવાળા દેશમાં લોકો જેટલી કાળજી મોક્ષ માટે લે છે તેટલી પોતાના જીવની નથી લેતા. ભગવાનદાસકાકા ઘણીવાર કહે છે: ‘ગૅસ પાસેથી ઠીક રીતે કામ લેતા આવડે તો તે બાર–તેર માણસોની રસોઈ કરી શકે છે. પણ કામ લેતા ન આવડ્યું તો તે બારમુ તેરમુ પણ કરી નાખે છે. કવિ મુકુલ ચોક્સીએ લખ્યું છે: ‘જોવાનું છે શરુઆત ક્યારે થાય છે? દીવાસળી છે લાકડાં છે ને સિલિન્ડર ચાલુ છે…!’

1પ્રત્યેક ગૃહિણીએ ગૅસના ભડકાના ભયસ્થાનો જાણી લેવા જોઈએ. શહેરની શિક્ષિત નારીઓના ગૅસ જોડેના સંબંધો મોટે ભાગે સુમેળભર્યા રહ્યા છે. પણ ગ્રામીણ નારીઓ અને વિશેષત: વૃદ્ધાઓને ગૅસની સગડી ઠીક રીતે વાપરતાં આવડતું નથી. અમારે ત્યાં ગામથી એક માજી પધાર્યાં હતાં. તેમણે સગડી બંધ કરવા માટે બટનને ઊંધી દિશામાં ઘુમાવ્યું એથી સગડીની જ્વાળા હોલવાઈ તો ખરી પણ ઓછી માત્રામાં ગૅસ નીકળતો રહ્યો. થોડીવાર પછી બાજુની સગડી ચાલુ કરવા તેમણે બાજુનું બટન ઘુમાવ્યું ત્યાંજ બહુ મોટો ભડકો થયો.  ગૅસની દુર્ગંધ ઘણાંને નથી ગમતી પણ એ ગંધ ચેતવણીયુક્ત હોય છે. ગૅસમાં ગંધ ન મૂકવામાં આવી હોત તો એની જોખમકારકતા વિદ્યુતના જીવતા તાર જેવી ગોપીત રહી હોત. રસ્તામાં પડેલા વીજળીના તારમાં કરન્ટ છે કે નહીં તેની જાણકારી રાહદારીઓને થતી હોતી નથી. એ કારણે અકસ્માત થવાની શક્યતા રહે છે. ગૅસ જ્યારે લીક થાય ત્યારે આખા ઘરમાં ગંધ ફેલાઈ જતાં માણસને સાવધ થઈ જવાની તક મળે છે. એથી સેન્ટની સુગંધ કરતાં પણ ગૅસની દુર્ગંધ વધુ  ઉપયોગી છે.

અરવિંદભાઈ એકવાર ગૅસથી સખત દાઝી ગયા હતા ત્યારથી તેઓ ‘ગૅસ કનેક્શન“ને ડેથ કનેક્શન કહે છે. પ્રત્યેક જાગૃત ગૃહિણીને પ્રશ્ન થવો જોઈએ– આ ગૅસ આખરે શી ચીજ છે? બાટલાની અંદરના ગૅસને વાચા ફૂટે તો તે પોતાનો પરિચય કંઈક આ રીતે આપે: ‘સળગવું એ મારો જીવનધર્મ છે. હું સળગવા માટે સર્જાયો છું. બાટલામાંથી બહાર નીકળ્યા પછી મને સળગવાનું ના મળે તો હું તમને બાળીને ભસ્મ કરી દઈશ..!’ તહેલકા ડોટ કોમથી પાર્લામેન્ટના પ્રત્યેક મસ્તકમાં આગ લાગી હતી તેવી આગ લાઈટરના એક સ્ટ્રોકથી બર્નરના પ્રત્યેક કાણામાં લાગી શકે છે. બાટલામાંથી બહાર નીકળતા ગૅસને લાઈટરનો અગનતણખો ન સાંપડે તો એ પણ ધૂંધવાયેલા રાજકારણીઓની જેમ આખી લોબીને ઉડાવી દે છે.

                                            ધૂપછાંવ

       એક પ્રોફેસર મિત્રે કહ્યું: ‘તમે રોજ ભગવાનની મૂર્તિ આગળ દીવો કરતા હો અને કોઈ દિવસ ચૂકી જશો તો ભગવાન તમને ક્ષમા કરી દેશે. પણ રાત્રે ગૅસના રેગ્યુલેટરની સ્વિચ બંધ નહીં કરશો અને ઉંદરમામા રબરની નળી કાતરી જશે તો અગ્નિદેવ તમને માફ નહીં કરે..! એટલું યાદ રાખજો – ‘ગીતા’,  ‘બાઈબલ’ કે ‘કૂરાન’ નું મહત્ત્વ ન સમજી શકાય તેમાં એટલું નુકસાન નથી જેટલું ગૅસની નળીની ઉપયોગીતા ન સમજવામાં છે. હાઈવે પર રસ્તાની મધ્યમાં સફેદ પટ્ટાઓ દોરેલા હોય છે. તમારું વાહન એ સફેદ પટ્ટાઓને ક્રોસ કરીને સામેની (રોંગ સાઈડે) પ્રવેશી જાય તો મૃત્યુ લગભગ નિશ્ચિત બની જાય છે. એથી હાઈવે પર બોર્ડ મારેલા હોય છે: “વ્હાઈટ લાઈન ઈઝ યોર લાઈફ લાઈન..!” પ્રત્યેક ગૅસના ગોડાઉનની બહાર પણ આ પ્રકારનું એક બોર્ડ હોવું જોઈએ: “રબરની નળી એ તમારી શ્વાસનળી છે. એ નળીમાં કાણુ એટલે તમારી જીવનનૌકામાં કાણું..! એથી એ નળીને થોડે થોડે સમયે બારીકાઈથી ચેક કરતા રહો..!” 

  1. ↩︎

હોળી અને હૈયાહોળી

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ

હોળી અને હૈયાહોળી

આપણે જાણતા નથી કે આજપર્યંત સમાજની કેટલી વહુ દીકરીઓને લોકોએ હોલિકા પાસે પહોંચાડી છે. આપણે એ પણ જાણતાં નથી કે હોળીને દિવસે સ્ત્રીઓ કોની પૂજા કરે છે? ‘હોળી’ શબ્દ હોલિકા પરથી આવ્યો છે. હોલિકા પ્રલ્હાદની ફોઈ હતી. તે પુજનીય તો હતી જ નહીં. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં બીજે દિવસે હોળીને ટાઢી કરવાનો રિવાજ છે. તે મુજબ વર્ષોથી સ્ત્રીઓ બીજે દિવસે હોળી ટાઢી કરે છે. છતાં સમાજમાં હજી હોળી સળગે છે. દેશમાં આતંકવાદીઓ હોળી સળગાવે છે. કુટુંબમાં સાસુ વહુ હોળી સળગાવે છે. લોકોના દિલમાં મોંઘવારીની હોળી સળગે છે. એકવીસમી સદીના તણાવભર્યા જનજીવનમાં સૌના દિલમાં આધિવ્યાધિ અને ઉપાધીની હૈયાહોળી સળગ્યા કરે છે. વાસ્તવમાં સળગતી હોળી કરતાં એ અદ્શ્ય આગજની વધુ દર્દનાક હોય છે. આપણા નેતાઓ હોળી સળગાવી જાણે છે… ટાઢી કરતા નથી.
નાના હતા ત્યારે ગામડામાં હોળીનો તહેવાર મસ્તીથી માણતા. અમારુ (ભીનાર) ગામ આદિવાસીઓનું ગામ છે. રાત્રે ચોતરા પર હોળી સળગે છે. આદિવાસીઓ તૂર વગાડી નાચે છે.. ફટાકડા ફોડે છે.. ઉજળિયાતો એ જોવા વહેલા પહોંચી જાય. ક્યારેક બે પીધેલા માણસો લડી પડે. હોળી કેટલા વાગ્યે સળગાવવી તે મુદ્દા પર બે જૂથો વચ્ચે અથડામણ પણ થાય.. (કોઈ વર્ષે જો બધું સમુસુતરુ પાર ઉતરે તો ઘરે જતીવેળા અમારા ચહેરા પર અસંતોષની એક ભાવરેખા અંકાઈ જતી. એનો અનુવાદ આવો થતો: ‘યાર… આ વખતે હોળીમાં ખાસ મજા ના આવી…!’)
વાત આદિવાસીઓની નીકળી છે ત્યારે બાળપણની કેટલીક વાતો આજે ય ભૂલી શક્યા નથી. અમે વાંસદાની ‘પ્રતાપ’ ટોકીઝમાં ફિલ્મ જોવા જતાં. તે જમાનામાં પાંચ આના ટિકિટ હતી…! બનતું એવું કે આદિવાસીઓ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લેતા અને પરદા નજીકની (થર્ડ ક્લાસની) સીટ પર બેસવા ઝઘડતા. “ડોરકીપર” માંડ સુલેહ કરાવતો પણ આદિવાસીઓ ડોળા ફાડીને કહે: “તું અમને ગામડિયા હમજતો છે હું…??? મોંઘી ટિકિટ ફડાઈવી છે તો પછવાડે હુંકામ બેહીયે…?” ન છૂટકે ડોરકીપર તેને ઊઠાડીને પાછળ (ફર્સ્ટ ક્લાસમાં) બેસાડે અને પેલા ફર્સ્ટ ક્લાસવાળો પરદા નજીક બેસે..!
દોસ્તો, જીવનની ફિલ્મ બાળપણમાં જેટલી રોમાંચક અને કલરફૂલ હોય છે તેટલી ત્યારબાદ નથી રહેતી. બાળપણ.., કિશોરાવસ્થા…, યુવાની…, પ્રૌઢાવસ્થા અને અંતે ઘડપણનો ઘેરો રંગ…!! કેટલા બધા રંગોમાંથી પસાર થાય છે જિંદગી? પણ જીવનમાં સાત્વિક સુખ શાંતિના રંગો પાકા હોય તો હોળીના રંગોની કચાશ નડતી નથી. જૂના જમાનામાં રંગોની શોધ થઈ નહોતી. લોકો ત્યારે ધૂળથી ધૂળેટી રમતા. કદાચ ધૂળ શબ્દ પરથી જ ધૂળેટી નામ પડ્યું હોઈ તો નવાઈ નહીં… આજે તરેહ તરેહના રંગો છે પણ જિંદગી બેરંગી બની ગઈ છે. ધૂળથી ધૂળેટી સુધીની વિકાસયાત્રામાં પાછળથી એક બીજો ખતરનાક રંગ ઉમેરાયો – તે છે લોહીનો રંગ…! એ રંગ માનવજીવનની તમામ હોળીઓને કલંકિત કરી ગયો છે. રાજકપુરની ફિલ્મ “મેરા નામ જોકર” માં જીવનને ત્રણ કલાકની ફિલ્મ સાથે સરખાવવામાં આવી છે. (“યે ખેલ હૈ તીન ઘંટો કા… પહેલા ઘંટા બચપન હૈ… દૂસરા જવાની… તીસરા બૂઢાપા…!”)
દોસ્તો, માનવપ્રકૃતિમાં હિંસા અભિન્નપણે જોડાઈ ગઈ છે. હિંસામાંથી પાશવી આનંદ મેળવવાનો દુષિત શ્રાપ માણસને મળ્યો છે. “જલિકટ્ટુ” સાંઢને રેસમાં દોડાવીને જીતવાની તથા કંબાડા જેવી દક્ષિણ ભારતની રમતો એની સાબિતી છે. હુલ્લડ કે તોફાનોમાં રોડ પર કોઈની કાર સળગે તે બીજા માટે તે હોળી જેવી ઘટના બની રહે છે. પણ જેની ગોદડી જાય તેને ટાઢ વાગે છે.. અને જેની કાર સળગે તેને છાતીમાં લાગે છે….! હોળી અને હૈયાહોળી વચ્ચે મોટો તફાવત છે. એ તફાવત પુત્ર જન્મટાણે વહેંચાતા પેંડા અને બાપના મૈયતમાં વહેંચાતા લાડુ જેવો છે.
અમને સ્મરણ છે વર્ષો પૂર્વે (2008 માં) જ્યોતિષીઓએ એવી આગાહી કરી હતી કે 10 મી ડિસેમ્બર 2008 થી શરુ થતો ગુરુ રાહુનો ચાંડાલ યોગ હવે પછીની પરિસ્થિતિને વધુ વિકટ બનાવશે. સૌના ઈદ, દીવાળી કે હોળી દુ:ખમય બની રહેશે. પણ એમાંની એક પણ વાત સાચી પડી ન હતી. દોસ્તો, ક્યાં ખોદવાથી પાણી નીકળશે તે કહી આપનારા જાણકારો આજે ય છે પણ હવે પછી શું થવાનું છે તે માણસ જાણી શકતો નથી. ખેર, જે થવાનું હોય તે ભલે થતું પણ માણસ માનવતાને વળગી રહેશે ત્યાં સુધી દુનિયા જીવવા જેવી લાગશે. એથી જ્યોતિષીઓની બિનગેરેન્ટેડ આગાહીને ધ્યાનમાં લઈને ચિંતામાં પડી જવાની જરૂર નથી.

ધૂપછાંવ

હિરણ્યકશ્યપ નાસ્તિક હતો. એક દિવસ તેણે પોતાની શ્રદ્ધાળુ પત્ની સમક્ષ ભગવાનની મૂર્તિ મૂકતાં કહ્યું: “જો તું આ ભગવાનને લાત મારશે તો હું માનીશ કે તું મને ચાહે છે.” પત્નીને ગુસ્સો ચઢ્યો. તેણે મૂર્તિને બદલે પતિને લાત લગાવી. હિરણ્યકશ્યપ ગબડી પડ્યો. ક્રોધાવેગમાં તે ચિલ્લાઈ ઊઠયો: “હે મૂર્ખ સ્ત્રી, મેં ભગવાનને લાત મારવા કહ્યું હતું – મને નહીં !” પત્નીએ ઠંડે કલેજે જવાબ આપ્યો: “સ્વામીનાથ, દરેક પત્ની માટે એનો પતિ જ ભગવાન હોય છે. હું જીવતા જાગતા ભગવાનને છોડીને પથ્થરના ભગવાનને શા માટે લાત મારુ…?”

છેલ્લા સાથી બે ખરા… હિંમત ને વિશ્વાસ…!

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ

છેલ્લા સાથી બે ખરા… હિંમત ને વિશ્વાસ…!

એક ગામમાં ખેડૂતના ઘરે લૂંટારાઓ ત્રાટક્યા. ખેડૂત બીમાર હતો પણ ખેડૂતની બે દીકરીઓએ પૂરી હિંમતથી લૂંટારાઓનો સામનો કર્યો. ઘરમાં નરાઈ, કોદાળી, વગેરે પડ્યા હતાં તે વડે બન્ને દીકરીઓ તૂટી પડી. લૂંટારૂઓ લોહીલુહાણ થઈ ગયા. અંતે તેમણે ભાગવું પડ્યું. દોસ્તો, એ ઘટના સાંભળી અમને ઝવેરચંદ મેંઘાણીનું “ચારણકન્યાનું સ્મરણ થાય છે. ધાડપાડુઓનો સામનો કરવાનું કઠિન છે છતાં સશસ્ત્ર ટોળકી સામે હાથ લાગ્યું તે હથિયાર લઈને તૂટી પડનારા વિરલાઓ પણ હોય છે. માણસમાં હિંમત અને ઝનૂન પ્રગટે પછી તેની સામે ગુંડ્ડાઓની પિસ્તોલ પાણીમાં બેસી જાય છે.
અભ્યાસકાળ દરમિયાન એક કવિતામાં ધૂળા વાણિયાની વાત વાંચવા મળી હતી. એ વાણિયાને રસ્તામાં લૂંટારાઓ મળી ગયા. વાણિયો નિહથ્થો હતો. તેની પાસે માત્ર એક કોથળો હતો. તેમાં કાટલા ભરી એણે પૂરી હિંમતથી લૂંટારાઓનો સામનો કર્યો. લૂંટાઓએ ભાગવું પડ્યું. સમાજમાં વિપુલ માત્રામાં ગુનાખોરીનું પ્રમાણ વધી ગયું છે. તે જોતા લાગે છે કે પ્રત્યેક માણસની ભીતરમાં ધૂળો વાણિયો તૈયાર થવો જોઈએ. આજે છાશવારે ધાડ પડે છે. લૂંટારુઓ પાસે હથિયાર હોય છે. લોકો પાસે હથિયાર હોતા નથી. છતાં કોઈવાર એવું બને છે કે ક્યાંકથી હિંમત પ્રગટી ઊઠે છે. મગજમાં મરુ યા મારુનું ઝનૂન પેદા થાય છે. અને પેલી ચારણ કન્યા સિંહને ભગાડે છે તેમ લોકો લૂંટારુઓને ભગાડે છે. લૂંટારુઓ પાસે પ્રથમથી જ ગુનાઈત માનસિક્તા હોય છે. તેમને સતત ભય રહે છે – લોકો તૂટી પડશે તો અમે ઘેરાઈ જઈશું. એથી તેઓ સામનો કરવાને બદલે જીવ બચાવીને ભાગી છૂંટવાનું વિશેષ પસંદ કરે છે. (અહીં પ્રથમ નજરે દ્રષ્ટિગોચર થતી તેમની પીછેહઠ એ – કાયરતા નથી., બુદ્ધિની સક્રિયતા છે) વસતિ વધી રહી છે. પોલીસની પાંખી સંખ્યા હવે સંરક્ષણ માટે પર્યાપ્ત નથી. સરકાર લોકોને ૨૪ કલાક પોલીસનું રક્ષણ આપી શકવાની નથી. જનતાએ જ હવે ધાડપાડુઓનો સામનો કરવા કટિબદ્ધ થવું પડશે.
ભૂતકાળમાં ઘણીવાર લોકોની સામૂહિક હિંમતને પરિણામે બેંક રોબરી અટકી છે. લૂંટ, ધાડ, વગેરે અટક્યાં છે. ધાડપાડુઓ મરે તે દુ:ખદ નહીં – સુખદ ઘટના ગણાય. ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે: ‘ઘર બાળવાવાળા કે કોઈની મિલકત લૂંટવાવાળા “આતતાયી” છે. અને એવા આતતાયીઓને મારવામાં કોઈ પાપ નથી. સમાજના અદના માણસો આવી જીવ સટોસટની બહાદુરી બતાવી ધાડપાડુઓને ઝબ્બે કરે તે નાનીસૂની ઘટના નથી. સરકારે (અને ખુદ સમાજે પણ) એવા વિરલાઓનું સન્માન કરવું જોઈએ. જેથી આખા સમાજને પ્રેરણા અને પ્રોત્સાહન મળે. લોકોએ ધાડપાડુઓને ભગાડ્યા હોય એવા અસંખ્ય દાખલાઓ છે. હમણાં થોડા સમય પર જ ગોરજમાં એક બેંક પર સશસ્ત્ર લૂટારુઓ ત્રાટક્યા હતા. ગામવાસીઓએ તેમને પથ્થરો મારી ભગાડ્યા એથી બેંકના લાખો રૂપિયા બચી ગયા હતાં.
આવા કિસ્સાઓની સુભગ ફલશ્રુતિ પ્રાપ્ત થઈ શકે તે માટે આવી ઘટનાઓ રડિયો, ટીવી કે છાપાઓ દ્વારા ગ્લોરીફાય કરવી જોઈએ. બલકે બહાદુર જવાંમર્દોનું જાહેર સન્માન કરીને જ ના અટકવું જોઈએ; તેમને લાખો રૂપિયાના વીરતા પુરસ્કારો પણ આપવા જોઈએ. આપણા મંદિરો અને તીર્થસ્થળો પાસે કરોડો રૂપિયાની ડેડકેપિટલ જેવી પૂજી જમા છે. એ પૈસા વર્ષોથી નિરર્થક પડ્યા છે. એનો ઉપયોગ મનુષ્ય સુરક્ષાના કાર્યોમાં થાય તે ઉત્તમ ગણાય. ધાડપાડુઓના આક્રમણથી જેઓ બેઘર બની જાય છે. તેમના પુન:વસન માટે પણ એનો સદુપયોગ થઈ શકે. શ્રદ્ધાની સંપતિનો માનવ કલ્યાણમાં વિનિયોગ થાય તો એથી રૂડું બીજું શું.?
પ્રજાની મનોસજ્જતા એ દિશામાં વિકસે તે માટે સરકારે બાળકોને શાળા કોલેજોમાંથી જ એ પ્રકારનું (પ્રતિકારાત્મક) પ્રશિક્ષણ આપવું જોઈએ. આપણે ત્યાં શાળાઓમાં પી.ટી. અને કોલેજોમાં એન.એસ.એસ. ચાલે છે. હેલ્થ ક્લબોમાં પણ અખાડા વગેરે ચાલે છે. એ પ્રવૃતિને થોડી વધુ વિકસાવવી જોઈએ. એથી નાગરિકોએ સમાજના અનિષ્ટોનો સામનો કરવાનો આવે ત્યારે છાશવારે પોલીસનું પ્રોટેક્શન માંગ્યા કરવાને બદલે તેઓ સ્વયં પોતાનું રક્ષણ કરી શકે. આપણી પ્રજામાં લૂંટારાઓ અંગે ભીરુ માનસિક્તા કેળવાઈ છે. પ્રજા ઘણી સલામતીપ્રિય છે. લૂંટારાઓને લોકોની ભીરુતાનો લાભ મળે છે. બચુભાઈ કહે છે: “વર્ષો પૂર્વે શીતળાના એક દરદીને શોધી લાવનારને સરકાર હજાર રૂપિયાનું ઈનામ આપતી હતી. હવે એવી જાહેરાત કરવાનો સમય પાકી ગયો છે કે – “એક ધાડપાડૂને પોલીસચોકીમાં જમા કરાવો અને લાખ રૂપિયાની થેલી લઈ જાવો…!” જો એવું થઈ શકે તો લોકોની હિંમતને લાખ રૂપિયાનો એવો સપોર્ટ મળી રહે – જેવો ધૂળા વાણિયાને કોથળામાંના કાટલાનો મળ્યો હતો.
ગામનું નામ ભૂલાઈ ગયું છે. પણ મહેસાણા જિલ્લામાં કોઈ ગામ છે. ત્યાંના યુવાનોએ ભેગા મળી એક સુરક્ષા સંગઠન બનાવ્યું છે. તે ગામના પ્રત્યેક યુવાનને લાઠી ચલાવતા આવડે છે. “મંડળનું નામ જ લાઠી મંડળ છે”. એક યુવાન દસબાર ધાડપાડુઓને ફક્ત લાઠી વડે ભારે પડી જાય છે. એ મંડળ 1990માં સ્થપાયું હતું. ત્યાર બાદ કહે છે ગામમાં એક પણ ધાડ પડી નથી. સરકારે અને પોલીસખાતાએ પણ એની પ્રશંસા કરી છે. ગામના યુવાનો કહે છે પહેલા અમારા ગામમાં વારંવાર લૂંટારાઓ આવતા હતા. અમે પોલીસના ભરોસે બેસી રહ્યા હોત તો અમારા ગામની વસતિ લૂંટારાઓએ ઉજ્જડ કરી નાંખી હોત.

ધૂપછાંવ

પોલીસ પ્રજાનું રક્ષણ કરશે એ વીસમી સદીનો વાસી વિચાર છે. હવે આપણે ગામેગામ જાગૃત યુવાનોના આવા મંડળો તૈયાર કરવા પડશે; જેથી આખું ગામ સુખની નિંદરમાં પોઢી શકે. ગોકુળ અષ્ટમીના મટકી ફોડ મંડળ કરતાં આવા “લાઠી મંડળો”ની આજે વિશેષ જરૂર છે.

આફતની અદલાબદલી

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ

આફતની અદલાબદલી

એક દિવસે એક વડીલ તેમના દીકરાના લગ્નની કંકોતરી આપવા આવી ચઢ્યા. દીકરાને કેટલી સારી વહુ મળી તે જણાવવામાં એમણે ખાસ્સો સમય લીધો. એ બધા સમય દરમિયાન અમે (અકળામણપૂર્વક) ચૂપ રહ્યા. એમના ગયા પછી શ્રીમતીજીએ ઠપકો આપતા કહ્યું: “દીકરાના લગ્નનો એમને કેટલો હરખ હતો… તમારે કંઈક તો આનંદ વ્યક્ત કરવો જોઈતો હતો. ઠોયાની જેમ બેસી રહેવાને બદલે પ્રશંસાનું એકાદ વાક્ય બોલ્યા હોત તોય એમને આનંદ થાત…!’ અમે વિચારમાં પડી ગયા. એ દીકરાને આખું ગામ ઓળખતું હતું. લગ્ન પહેલાં એ ત્રણ છોકરાનો બાપ બની ચૂક્યો હતો. ઉપરાંત એક ખૂન કેસમાં સંડોવાતા એ જેલમાં પણ જઈ આવ્યો હતો. એના લગ્ન ત્રણ છોકરાની મા એવી એક ત્યક્તા જોડે થઈ રહ્યાં હતાં. શ્રીમતીજીને અમે પૂછયું: ‘મેડમ, તમે જરા એ જણાવશો કે એની કઈ વાતના વખાણ થઈ શકે એમ છે…?’ અને અહિં અમને એક જોક યાદ આવ્યો. ‘એક પારસીનો દીકરો ઘણાં ગુના કરીને આજીવન કેદની સજા ભોગવતો હતો. જેલની રસમ પ્રમાણે અમુક સમય બાદ સારી ચાલચલગત વાળા કેદીઓની બાકીની સજા માફ થઈ જતી હોય છે. તે પ્રમાણે એને જેલમાંથી વહેલી મુક્તિ મળી ગઈ. એથી તેના પાડોશમાં રહેતી પારસીબાનુએ તેને અભિનંદન આપતાં કહેલું: “ખોડાયજીએ તુને સારી ચાલચલગત વાલો દીકરો દીધો તે બદલ ઘન્નાઘન્ના અભિનંદન..!”
ટીવીના “સંવાદ” કાર્યક્રમમાં એક શિક્ષકનો ઈન્ટર્વ્યૂ રજૂ થયો હતો. એ શિક્ષકને સિંહો પ્રત્યે અપાર લાગણી હતી. કહેવાય છે કે સિંહ જેટલી વાર ગર્જના કરે તેટલી તેની ઉંમર ગણાય. એક દિવસ જંગલમાં બધાં સિંહો ભેગા થયા અને તેમની ઉમરનું પ્રમાણ જાણવાની કોશિષ કરી તો તેમાં એક નવું તારણ નીકળ્યું. સિંહણે પોતાની સાચી ઉમર કરતાં દશ ખોંખારા ઓછા ખાધા. (કારણ એ હતું કે સિંહણ નારી જાતિની હોવાથી પોતાની ઉમર ઓછી બતાવવા તે દશ ખોંખારા ઓછા ખાતી હતી. ત્યારબાદ પ્રાણી શસ્ત્રીઓએ એવો નિયમ બનાવ્યો કે સિંહણના ખોંખારામાં દશ ઉમેરવાથી જે સંખ્યા આવે તેને સિંહણની સાચી ઉમર ગણવી..!’
આપણે સૌ જાણીએ છીએ કે લોકો રોજ પ્રભાતે પૂજા કરીને ઘરના ઉંબરા પર ફૂલ મૂકે છે. તમે ક્યારે ય એવું સાંભળ્યું છે કે કોઈએ જાજરૂના ઉબંર પર ફૂલ મૂક્યા હોય..! જોકે આવી અદલાબદલીથી હંમેશા દુ:ખ જ ઉદ્ભવે એવું નથી. ક્યારેક રમૂજ પણ ઉપજે છે. એકવાર અમારે ત્યાં એક મિત્ર કપલ આવ્યું. ઠીક તે સમયે જ કોઈ ઈમરજન્સીનો કોલ મળતા અમારે એક બીજા મિત્રને ત્યાં જવું પડ્યું. હવે થયેલું એવું કે અમારે ત્યાં આવતાં પહેલાં એ લોકો સિમલા ફરવા ગયા હતાં. એથી એમના હોઠ ફાટી ગયા હતાં. એમણે અમારા ઘરમાં વેસેલીન શોધ્યું. બહુ શોધ્યા બાદ અંતે અમારા બેડરૂમમાંથી એમને વેસેલીનની ડબ્બી મળી. એ પહેલાની વાત સાંભળો. થોડા દિવસો પર જ અમારે ત્યાં ટાઈગર બામની સીસી તૂટી ગઈ હતી. અમે વેસેલીનની એ ખાલી સીસીમાં ટાઈગર બામ ભર્યો હતો. એ દંપતિએ બામને વેસેલીન જાણીને હોઠે ઘસ્યો… પછી શું થયું તે કલ્પી શકાય એવી બાબત છે. અમે પાછા આવ્યા ત્યારે જોયું તો બન્નેના હોઠ હબસીના હોઠ જેવા બની ગયા હતા. એમને કેટલી વેદના થઈ હશે તેની કલ્પના કરવનું આપના પર છોડું છું…! અમારા જીવનમાં પણ એક એવી ઘટના બની હતી.
બેંક ઓફ બરોડામાં અમારે ચીફ કેશિયરની નોકરી હતી. રોજ તિજોરી માંથી કૅશ કાઢીને અમે સોની નોટોના બંડલો જમણી બાજુએ ગોઠવતા અને પચાસના બંડલો ડાબી બાજુએ ગોઠવતા વર્ષોનો અમારો એ અફર નિયમ હતો. પણ એક દિવસ એવું થયું કે અજાણપણે બંડલોની જગ્યા ઉલટ સુલટ થઈ ગઈ. મતલબ સોના બંડલો મૂકાતાં હતાં ત્યાં પચાસના બંડલો મૂક્યા. અને પચાસના પેકેટો મૂકતો હતો ત્યાં મેં સોના બંડલો મૂક્યા. પહેલો જ ચેક પાંચ હજારનો આવ્યો. વર્ષોથી પચાસના પેકેટો લેવા હાથ જે દિશામાં જતો હતો તે દિશામાં ગયો (મતલબ પચાસને બદલે સોનું પેકેટ અપાઈ ગયું) ગ્રાહક તો પૈસા લઈને ચાલ્યો ગયો. સાંજે હિસાબમાં પાંચ હજાર ખૂટ્યા. અમે દરેક પાંચ હજારના પેમેન્ટવાળા ગ્રાહકને ત્યાં માણસ મોકલાવી તપાસ કરાવી પણ બધાએ કહ્યું: ‘અમને તો પૈસા બરાબર જ મળ્યા છે..!’ છેવટે એક ગ્રાહકે કહ્યું: “હા, મારી પાસે સોનું બંડલ આવ્યું છે.’ કહી તેણે થેલીમાંથી સોનું પેકેટ કાઢી આપ્યું. આમ અદલાબદલીમાં ધ્યાન ન આપવામાં આવે તો ક્યારેક મોટી આફત સર્જાય શકે છે.
ધૂપછાંવ
રામચંદ્રજી સર્વગુણ સંપન્ન હતા. પણ ચૂંટણીનું રાજકારણ એવું છે કે આજે તેઓ ચૂંટણીમાં ઊભા રહે અને અયોધ્યાના બધાં માણસો પેલા ધોબી જેવા હોય તો રાવણ અયોધ્યાની ગાદીનો રાજા બને અને રામ હારી જાય..!

અક્કલ બડી કે ભેંસ..?

“જીવન સરિતાને તીરે…” “ગુજરાતમિત્ર”ના સૌજન્યથી સાભાર – દિનેશ પાંચાલ

અક્કલ બડી કે ભેંસ..?

નાનપણમાં અમે વેકેશનમાં મામાને ત્યાં જતા. મામા મજાકમાં પૂછતા: “બોલો છોકરાઓ, “અક્કલ બડી કે ભેંસ?” અમે બધાં સમૂહ સ્વરોમાં બોલી ઉઠતા: – “ભેંસ..!” (અક્કલનું કદ માપવા માટે બુદ્ધિનિ મેઝર ટેપ જોઈએ. પણ તે વખતે બુદ્ધિ દૂધિયા દાંત જેવી હતી) હવે એકવીસમી સદીના બાળકો ખાસ્સા પરિપક્વ હોય છે. તેમની સામે દશ ચોકલેટ અને સો રૂપિયાની એક નોટ ધરવામાં આવે તો તેઓ તરત સોની નોટ લઈ લેશે. કારણ પૂછો તો કહેશે: “એક સોની નોટમાં આખી બરણી ભરાય એટલી ચોકલેટ આવી શકે..! આજે કશાય જાતીય શિક્ષણ વિના બાળકો ખાસ્સું જાતીય જ્ઞાન ધરાવતા થઈ ગયા છે.. તેમની જિજ્ઞાસા જીવતા વિદ્યુત તાર જેવી જીવંત હોય છે. તેમને સતત પ્રશ્નો થાય છે. તેમનામાં શ્રદ્ધાવાદ કરતાં બુદ્ધિવાદ વધુ ઝડપથી વિકસી રહ્યો છે. મંદિરમાં મૂર્તિને જોઈ તેઓ પૂછે છે: ‘માણસને બે હાથ હોય છે તો ભગવાનને કેમ ચાર હોય છે..? શંકરભગવાને પોતાના જ બાળકનું માથુ ઉડાવી દીધું એવું કેવી રીતે બને? આ બધા પ્રશ્નોના સાચા જવાબો કદાચ મોરારિબાપુ પણ જાણતા નહીં હોય.. જોકે પ્રશ્નો થવા એ સારી નિશાની છે. બેશક આવા પ્રશ્નનો આપણી પાસે કોઈ સંતોષકારક જવાબ નથી. વસ્તુત: જેની જામગરી ઓલરેડી સળગી ચૂકી છે તેવા એટમબોમ્બ પર બેઠેલી માખી જેવી આપણી દશા છે. આપણી બરબાદીનું ખરું કારણ પણ એજ છે કે દેશમાં વિકાસની ગતિ ગમે તેટલી ઝડપી હોય તો પણ તે એક સેકન્ડે જન્મતા બે બાળકની ગતિને ઓવરટેઈક કરી શકતી નથી. ચૂંટણી આવે ત્યારે નેતાઓ પ્રજાને બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા આપવાની વાત કરે છે. (જો સાચે જ તેઓ દેશનું ભલુ ઈચ્છતા હોય તો તેમણે રૂપિયે કિલો નિરોધ વેચવા જોઈએ..!) એક વાત યાદ રાખવી પડશે. શ્રદ્ધા ગમે તેટલી જરૂરી હોય તો પણ તેની તુલનામાં જિંદગીની નક્કર જરુરિયાતો ખૂબ મહત્તવની હોય છે. અબિલ–ગુલાલ, કંકુ, અગરબત્તી, લોબાન એ શ્રદ્ધાપૂર્તિના સાધનો છે. ભૂખ માટે ધાન્યથી ચડિયાતો બીજો કોઈ ઉપાય નથી. દિલમાં શ્રદ્ધા નહીં હોય તો ચાલશે પણ કોઠીમાં જુવાર નહીં હશે તો જીવવાનું ભારે પડી જશે.
આજનો યુવાન કેલ્ક્યૂલેટરની ઝડપે વિચારે છે અને વિજળીની ગતિએ નિર્ણયો લે છે. તેઓ માને છે કે આસ્તિક નાસ્તિક બન્નેને સરખી ભૂખ લાગે છે. આસ્થા એ આત્માનો ખોરાક છે. પણ દાળરોટી એ પેટની જરૂરિયાત છે. માણસને શ્રદ્ધા કરતાં શિરામણની વધુ જરૂર પડે છે. ભક્તિ કરતાં ભોજન અનિવાર્ય છે. સંસાર છોડીને સાધુ બની ગયેલા લોકોને પણ જીવનજરૂરિયાતના સાધનોની જરૂર પડે છે. બસ ગાડીમાં મુસાફરી કરવાને બદલે પગપાળા ભ્રમણ કરનારા સંતોને પણ ચંપલ કે પાવડી વિના ચાલતું નથી. વિજ્ઞાનનો ઘોર વિરોધ કરતા ગુરુઓ પણ ધર્મપુસ્તકો વાંચતા પૂર્વે આંખે ચશ્મા ચઢાવવામાં કશો છોછ અનુભવતા નથી.
હવે સૌને સમજાય છે કે ભૂખ લાગે ત્યારે ભગવાનની નહીં ભાખરીની જરૂર પડે છે. રોજના ગીતાના ચાર અધ્યાય વાંચવાનો તમારો પાકો ક્રમ હશે તો પણ કેન્સર થયું હશે તો ગંગાજળ પીવાથી નહીં મટે– તે માટે ચારધામની તિર્થયાત્રા પણ પૂરતી ન ગણાય.. કેન્સરની હોસ્પિટલમાં દાખલ થવું જ પડશે.
દોસ્તો, જીવનમાં ડગલે ને પગલે સાધનોનું આટલું મહત્ત્વ હોય ત્યારે સાધનોની જાળવણી ઈશ્વરપૂજા જેટલી જ મહત્વની ગણાય. સંસાર એક માનવ વસાહત છે. અને જીવન એ જીવાત્માનું પ્લેટફોર્મ છે. જીવ મુસાફર છે અને મૃત્યુ અંતિમ સ્ટેશન છે. તેથી જીવન અને જીવાત્માની પૂરી કાળજી કરવી એ સૌનો જીવનધર્મ છે.
ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવ્યા પછી ઠેર ઠેર જીવતા માણસોને જલાવી દેવામાં આવ્યા. જીવ અને જીવન બન્ને સળગ્યા. એમાં ન તો ઈશ્વર રાજી થયો ન અલ્લાહને આનંદ થયો. જીવતો જાગતો માણસ રહેંસાઈ જાય પછી સલામત રહેલી શ્રદ્ધા બકરી કપાઈ ગયા પછી તેની બાજુમાં પડેલા છરા જેવી જુગુપ્સાપ્રેરક હોય છે. આપણી કમનસીબી એ છે કે આપણે હિન્દુ મુસ્લિમને મરતા જોઈએ છીએ પણ ઈશ્વર અલ્લાહને રડતા જોઈ શકતાં નથી. આ પૃથ્વીલોકમાં છાસવારે બુદ્ધિના ઉઠમણા થતાં રહે છે. અને માનવતાના મૈયત પર કરફ્યૂ લદાતા રહે છે. એકવાર સુપ્રસિદ્ધ કોમેડિયન જ્હોની લીવરે ધાર્મિક દંગલોમાં થયેલી જાનહાની જોઈ ભીની આંખે એક પંક્તિ ઉચ્ચારી હતી: “આદમી તૂટ જાતા હૈ એક ઘર બસાનામેં.. ક્યું લોગ લગે રહેતે હૈં બસ્તિયાં ઉજાડનેમેં..!”
ધૂપછાંવ
“જે દિવસે ઈશ્વરની આરતી કરવાથી એઈડસ સારો થઈ શકશે તે દિવસે નાસ્તિકો પણ ઈશ્વરમાં માનતા થઈ જશે..!”